રાજકોટમાં ‘અટલ સરોવર’ માટે સીએમ રુપાણીનાં પત્નીએ કર્યું શ્રમદાન, નાગરિકોમાં ઉત્સાહ

રાજકોટ- શહેરમાં નવા રેસકોર્સ ખાતે 45 એકરમાં ફેલાયેલાં કુદરતી તળાવને ઊંડુ ઊતારવાના કાર્યક્રમમાં શ્રમદાન માટે સીએમ રુપાણી તેમનાં પત્ની અંજલિ રુપાણી સાથે રાજકોટ શ્રમદાન માટે આવ્યાં હતાં. સીએમ રુપાણીએ આ તળાવને નવું નામ આપતાં ‘અટલ સરોવર’ એવું નામાભિધાન કર્યું હતું.રાજકોટ શહેરમાં રાજાશાહી વખતે બનેલા તળાવ સિવાય અન્ય કોઇ નવું તળાવ બન્યું નથી, એ વાતનું સ્મરણ કરાવતા  રૂપાણીએ કહ્યું કે, નવા રેસકોર્સનું આ તળાવ આપણા સૌ કોઇની મહેનતની બનશે. નવી પેઢીને આ તળાવ આપણી ભેટ બની રહેશે. નવા રેસકોર્સના તળાવ નિર્માણમાં જોડાઇ શ્રમદાર આપનારા સૌ કોઇને બિરદાવાયાં હતાં. સીએમે આ તળાવને અટલ સરોવર એવું નામાભિધાન કરતા લોકોએ તેને વધાવી લીધું હતું. રાજકોટ શહેરમાં ૧૫૦ વર્ષ બાદ નવું તળાવ બની રહ્યું છે તેનો આનંદ સૌ કોઇના ચહેરા પર જોવા મળતો હતો. અંહી સીએમ રુપાણી અને તેમનાં પત્નીએ શ્રમદાન કર્યું હતું.જળસંચય-જળસંગ્રહ કાર્યક્રમ હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીની સફાઇ, શહેરનાં તમામ વોંકળાની સફાઇ તેમજ લાલપરી-રાંદરડા ટવીન લેઇક અને ન્યારી તળાવમાંથી કાંપ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે. આજથી રાજકોટ શહેરનાં રેસકોર્સ-૨ રૈયા વિસ્તારમાં ૪૫ એકરમાં પથરાયેલ કુદરતી તળાવને ઊંડુ ઊતારવાનો પ્રારંભ કરાયો છે. આ કામમાં ૪૦ જેસીબી/એકસવેટર અને ૮૦ જેટલા ટ્રેકટરના ઉપયોગ થશે અને ૪૦૦થી વધારે એમએલડી જેટલો જળજથ્થો સંગ્રહ થશે.