સ્કૂલ બસ પલટી, વિદ્યાર્થીઓને બસનો કાચ તોડી બહાર કઢાયાં

અમરેલીઃ અમરેલીની જ્ઞાનદીપ વિદ્યામંદિરની સ્કૂલ બસ પલટી ખાતાં મોટો અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ જે સમયે વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી તે સમયે અમરેલીના દેવળીયાના પાટિયા નજીક સ્કૂલ બસ પલટી હતી. સ્કૂલ બસમાં સવાર કુલ 20 વિદ્યાર્થીઓ પૈકી 10 જેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે.

અકસ્માત થતા જ સ્થાનિકો તરત જ દોડી આવ્યાં હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્કૂલ બસમાં કુલ 20 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતાં. અચાનક સ્કૂલ બસ પલટી ખાતાં વિદ્યાર્થીઓ ગભરાઈ ગયાં હતાં. તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બસનો પાછળનો કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.