શાળા સંચાલકોની ધમકીઃ ફી ભરો નહીં તો નવા વર્ષમાં પ્રવેશ નહીં આપીએ

અમદાવાદ- ગુજરાત સરકારે કટ ઓફ ફી જાહેર કરી હતી, જે પછી ગઈકાલે સરકાર ફરી ગઈ, અને ખુદ શિક્ષણપ્રધાને નિવેદન આપ્યું હતું કે 4 એપ્રિલ સુધી આખરી હિયરિંગ ન આવે ત્યાં સુધી શાળાઓ જે ફી લે તે વાલીઓએ ભરી દેવી. આ મુદ્દા પછી વાલીઓ ભારે ગુસ્સે ભરાયા છે, અને ફી મામલે સરકાર માથે માછલાં ધોવાના શરૂ કર્યા છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે નારાજ થયાં છે, તેની સાથે શાળા સંચાલકોએ શું કરવું તેવી ખબર પડતી નથી. પણ આજે અમદાવાદની કેટલીક શાળાઓએ પોતાની મનમાની શરૂ કરી દીધી છે, અને જે વિદ્યાર્થીઓની ફી બાકી હશે તેમને પરિણામ નહીં આપવાની અને આગામી વર્ષમાં પ્રવેશ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે.

ફી મામલે રાજ્ય સરકાર ગુૂંચવાઈ ગઈ છે. વાલીઓ આક્રોશમાં છે. શાળા સંચાલકોને હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી છૂટો દોર મળી ગયો છે. આજે અમદાવાદની કેટલીક હાઈસ્કૂલોના સંચાલકોએ રીતસર વાલીઓએ બોલાવીને ફી ભરવા કહ્યું છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી બાકી હશે તેને પરિણામ નહીં આપવામાં આવે, જે પછી વાલીઓએ સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો. જો કે વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ આગ્રહ કર્યો હતો કે રાજ્ય સરકારે જે ફી નક્કી કરી છે, તે ફી જ અમે હાલ ભરીશું. આ મામલે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

કેટલાક શાળાના સંચાલકોએ તો આવા વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ પણ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે.