ધો. 12 કોમર્સનું પરિણામ 31મી મેએ જાહેર થશે

ગાંધીનગર- રાજ્ય શિક્ષણબોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષાની તારીખ ફરી જાહેર કરવામાં આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 31મી મેએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ સાથે ઉચ્ચતર ઉત્તર બુનિયાદીપ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની સેમેસ્ટર સીસ્ટમના વિદ્યાર્થીઓ માટેની ખાસ પરીક્ષાના પરિણામ પણ પ્રગટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લેવાયેલી બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પહેલાં જ પરિણામ બહાર પડી ચૂક્યું છે. તેમ જ ધોરણ 10ના પરિણામની જાહેરાત પણ કરવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 28  તારીખે સવારે બોર્ડ દ્વારા વેબસાઇટ પર કરવામાં આવનાર છે.

 

વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વર્ષનું સૌથી ઓછું પરિણામ આપવામાં આવ્યું છે ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ થોડું ઊંચું આવે તેવી સંભાવનાઓ છે. જોકે રાજ્યમાં કોમર્સમાં પ્રવેશ લેવા માટે લાખો વિદ્યાર્થીઓ ઇચ્છુક હોય છે જેને લઇને પરિણામમાં આવેલી ટકાવારી મુજબ સારી કોલેજમાં પ્રવેશ લેવા માટે આ વર્ષે પણ હરીફાઇ રહેશે તેવો પ્રાથમિક અંદાજ છે.