અમરેલીઃ 51 કરોડ 98 લાખ રુપિયાના મૂલ્યની રેતી ચોરનારાં ઝડપાયાં

અમરેલી- ધાતરવડી નદીમાં અનઅધિકૃત રીતે રેતીની ચોરી કરતાં 7 આરોપીઓને રાજુલા પોલિસે ઝડપી લીધાં છે. ખાણ ખનીજ વિભાગ ધ્વારા GPS કોર્ડીનેટ સર્વે કરીને ઝડપાયેલાં 7 આરોપીઓ વિરુદ્ધ 51 કરોડ 98 લાખ રુપિયાના મૂલ્યની રેતી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વારંવારની ચેતવણીઓ આપવા થતાં રેતી ચોરી બંધ ન થતાં ખાણખનીજ વિભાગ દ્વારા ગઇ G.P.S. કોર્ડીનેટ કરીને રાજુલાના વડ ગામથી ખાખબાઇ ગામ સુધીના વિસ્તારમાં આવેલ ધાતરવડી નદીમાં સર્વે કરાયો હતો. આ નદીમાં કાયદેસર લીઝોને બાદ કરતાં કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં ગેરકાયદે ખોદકામ થયાંનું બહાર આવ્યું હતું.

કુલ ૭,૬૮,૦૬૪ સ્કવેર મીટર વિસ્તારમાં કુલ ૨૧,૬૫,૯૪૦/- મેટ્રીક ટન ખનીજની ચોરી થયેલી હતી જેથી એક ટનના રૂા.૨૪૦/- મુજબ કિમત ગણતાં કુલ રૂા. ૫૧,૯૮,૨૫,૪૭૧/- (એકાવન કરોડ અઠ્ઠાણું લાખ પચીસ હજાર ચારસો ઇકોતેર) ની ખનીજ ચોરી ગણવામાં આવી હતી.

આ નદીમાં લીઝની બહાર રેતી ભરતાં પકડાયેલા આ આરોપીઓ સામે ખાણખનીજ વિભાગે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

આરોપીઓના નામઃ-
(૧) ધીરૂભાઇ દડુભાઇ ધાખડા રહે.વડલી તા.રાજુલા
(૨) મનુભાઇ ખીમાભાઇ ડાભી રહે. છતડીયા તા.રાજુલા
(૩) મનુભાઇ સુખાભાઇ ભીલ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૪) ગોપાલભાઇ બચુભાઇ સાંખટ રહે.લોઠપુર તા.જાફરાબાદ
(૫) ઉલ્લાસભાઇ લાભુભાઇ રહે.કોડીનાર
(૬) જસુભાઇ સેલારભાઇ ધાખડા રહે.વડ તા.રાજુલા
(૭) વિરમભાઇ કાળાભાઇ ઓડેદરા રહે.રાજુલા
(૮) કિરણભાઇ વિરાભાઇ ધાખડા રહે.લોઠપુર જાફરાબાદ
(૯) મધુભાઇ દાનુભાઇ ધાખડા રહે.વડ રાજુલા

આ આરોપીઓમાંથી ગોપાલભાઇ સાંખટ રહે.લોઠપુર તથા ઉલ્લાસભાઇ લાભુભાઇ રહે.કોડીનાર સિવાય અન્ય કુલ-૦૭ આરોપીઓની પોલીસએ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આરોપીઓના રીમાન્ડની માગણી કરવામાં આવશે અને અન્ય લોકોની સંડોવણીની તપાસ કરાશે.