35 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ: ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ, 20 ડેમ હાઇએલર્ટ

ગાંધીનગર- રાજયના 35 તાલુકાઓમા નોધપાત્ર વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધાયો હતો.. જેમાં ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો.
રાજયમા વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. આજે તા ૨૫-૭-૧૮ના રોજ સવારે ૭.૦૦ કલાક સુધીમા ડભોઈ તાલુકામાં ૮૦ મી.મી. એટલેકે ત્રણ ઈચ થી વધુ વરસાદ પડ્યો હતો.

સંખેડા તાલુકામાં ૫૮મી.મી, નીઝરમાં ૫૨ મી.મી., નાદોદમાં ૪૮ મી.મી અને ભરૂચમા ૪૭ મી.મી મળી કુલ ચાર તાલુકાઓમા બે ઈચ અને ગરૂડેશ્વર, કુકરમૂંડા, જેતપુર પાવી, સાગબારા, નેત્રંગ, ડેડિયાપાડા, તીલકવાડા, અંકલેશ્વર, વાલિયા, સુબીર, બોડેલી, નસવાડી અને વધાઈ મળી કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચ થી વધુ તથા અન્ય ૧૫ તાલુકાઓમા અડધો ઈચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના અહેવાલો છે.

 ૨૦ જળાશયો હાઇ એલર્ટ પર : ૦૯ જળાશયો માટે એલર્ટ

પૂર નિયંત્રણ એકમના અહેવાલો મુજબ આજે  સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન૨૦ જળાશયો હાઇએલર્ટ, ૦૯ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૨૦ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે કુલ ૦૯ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે.

સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૪૩૫ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૯૪ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૩,૩૧,૯૩૧.૩૪ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૨૭ ટકા છે.