રાહુલના વિસ્તારના લોકો નોકરી માટે ગુજરાતમાં આવે છેઃ મુખ્યપ્રધાન

સૂરતઃ સૂરતના સરથાણામાં આયોજિત જોબ ફેરને ખુલ્લો મૂકતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા. રુપાણીએ જણાવ્યું કે તેમના ક્ષેત્રના લોકો નોકરીની શોધમાં ગુજરાતમાં આવે છે કારણ કે તેમને ત્યાં રોજગારી નથી મળી. રાહુલ ગાંધીના અમેઠી ક્ષેત્રના લોકો અહીં આવે છે કારણ કે ત્યાં તે લોકો માટે નોકરી નથી.

મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે ગુજરાત રોકાણ અને ઈન્ડસ્ટ્રીઝ મામલે અવસરોની ભૂમિ છે. આને વિશ્વમાં રોકાણની સારી જગ્યા માનવામાં આવે છે. આ કાર્યક્રમમાં સુરત અને ઉત્તર ગુજરાતના આશરે 2.254 યુવાનોને પ્રશિક્ષુ પત્ર આપવામાં આવ્યા.

આ જોબ ફેરમાં 54 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. લાભાર્થિઓને વાર્ષિક વેતન પેકેજ 1 લાખ રુપિયાથી 8 લાખ રુપિયા વચ્ચે છે. મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે સુરત જિલ્લાએ 27,900 યુવાનોને નિયુક્ત કરવા માટે વર્ષ દરમિયાન 40 જોબ ફેરની વ્યવસ્થા કરી છે આમાં 11,000 પ્રશિક્ષુતા યોજનાઓ અંતર્ગત સમાવિષ્ટ છે.

મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યું કે જ્યારે હું યુવાન હતો ત્યારે હું ગરીબી હટાઓ, બેકારી હટાઓ, ભ્રષ્ટાચાર હટાઓ જેવા નારાઓ સાંભળતો હતો. આપણા દેશમાં અત્યાર સુધી માત્ર નારાઓ લગાવવામાં આવ્યા. પહેલાના સમયમાં જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે આરામ હરામ છે. ત્યારે લોકોએ કહ્યું કે આરામ હરામ છે તો કામ આપો અને નારો આપ્યો છે તે અંજામ તો આપો.