એટ્રોસિટી કેસોનું રીવ્યૂ મીટિંગો દ્વારા મોનિટરિંગ કરાય છે, સેપ્ટ રીપોર્ટ પ્રમાણે કાર્યવાહી

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અસ્પૃશ્યતાની બાબતને ગંભીરતાથી લીધી છે અને આ અંતર્ગત બનતી કોઇપણ ઘટના માટે કડકમાં કડક કાર્યવાહી કરી ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.વિધાનસભા ગૃહમાં આભડછેટ અંગેના પ્રશ્નના ઉત્તરમાં મુખ્‍યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર જ્ઞાતિ-જાતિથી ઉપર જઇ યોજનાઓ બનાવી રહી છે જેથી સૌ સાથે મળી એકસાથે રહી લાભ લઇ શકે. તેમણે કહ્યું કે એટ્રોસિટીના કેસો તથા રીવ્યૂ મીટિંગો દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

નાયબ સીએમ નિતીન પટેલે પણ જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા સાથે આભડછેટ દૂર થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવી બાબતોને સરકારે ખૂબ ગંભીરતાથી લીધી છે.

આાભડછેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત પ્રશ્નના ઉત્તરમાં વધુમાં જણાવાયું હતું કે, ભારત સરકારની માન્યતા પ્રાપ્ત સેપ્ટ યુનિવર્સિટી દ્વારા આભડછેટ અંગે સર્વે થયેલ અને વિગતોનો અભ્યાસ કરી તેની ભલામણોને સંબંધિત વિભાગને કાર્યવાહી કરવા મોકલી આપીલ છે.

સરકારે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ પંચની રચના કરી છે. તેમ જ આવી ઘટનાઓમાં અરજદારને ત્વરિત ન્યાય મળે તે માટે ૪૩ ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. તેમજ ૧૬ વિશિષ્ટ સરકારી વકીલો તેમજ ૧૭ ખાસ વકીલોની નિમણૂક કરી છે. પોલીસ મહાનિર્દેશકની કચેરી ખાતે અધિક પોલીસ મહાનિર્દેશક હેઠળ ખાસ સેલ પણ કાર્યરત છે. ઉપરાંત મુખ્યપ્રધાનના અધ્યક્ષ પદે આવા કેસોની સમયાંતરે સમીક્ષા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.