નડાબેટ સીમાદર્શન વિકાસ માટે વધુ 39 કરોડના વિકાસકાર્યોને સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ઊજાગર કરવા નડાબેટ ખાતે સીમાદર્શન કાર્યક્રમ શરુ કરેલો છે. તેની વધુ વિકાસ સુવિધાઓના નિર્માણહેતુ બીજા તબક્કામાં ૩૯ કરોડ રુપિયાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેકટ અંતર્ગત નડાબેટ ખાતે એક્ઝિબિશન હોલ અને અંદાજે પાંચ હજાર વ્યકિતઓ એકસાથે બેસી શકે તેવી ક્ષમતાનું પરેડ ગ્રાઉન્ડ તેમ જ T જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે.

રાજ્યના સીમાદર્શન સહિતના અન્ય પ્રવાસન પ્રોજેકટસના અવલોકન, માર્ગદર્શન માટે યોજાયેલી બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નડાબેટ સીમાદર્શનના આ પ્રવાસન પ્રોજેકટમાં હાલ પ્રથમ તબક્કાના રૂ. રર કરોડના વિવિધ માળખાકીય સુવિધા વિકાસના કામો પ્રગતિમાં છે. બોર્ડર ટૂરિઝમના આ ગુજરાત પ્રયોગ પ્રોજેકટમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયનો પણ નાણાં સહયોગ મળે તે હેતુથી દરખાસ્ત મોકલવા પણ બેઠકમાં સૂચન કર્યુ હતું. ર૦૧૬માં ડિસેમ્બરની ર૪ તારીખે બનાસકાંઠાના સૂઇગામ સ્થિત નડાબેટ બોર્ડર ખાતે આ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમનો પ્રારંભ થયો છે અત્યાર સુધીમાં ૧ લાખ જેટલા પ્રવાસીઓ-યુવાઓ આ સીમાદર્શન કાર્યક્રમમાં સહભાગી થયાં છે.

ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે અને જો આ સરહદી યુદ્ધ થાય તો બીએસએફએ સીધો મુકાબલો દુશ્મન દળોનો કરવો પડે છે. આ સંદર્ભમાં બી.એસ.એફ.જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે તે હેતુથી ગુજરાતમાં આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કરવામાં આવ્યો છે.

અહીં આવનાર હરકોઇ રાષ્‍ટ્રપ્રેમ-દેશદાઝથી તરબતર થઇ જાય તેવું રોમાંચક વાતાવરણ આ સીમાદર્શન કાર્યક્રમની પહેલ પૂરી પાડે છે. બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્‍ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો બોર્ડરને માણવાનો અવસર આપે છે. સરહદ સાચવતા બીએસએફ. જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપી રહ્યો છે.

સીમાદર્શનના આ બોર્ડર ટૂરિઝમને પરિણામે રણવિસ્તારમાં ઇકોનોમીક એકટીવીટીને પણ નવું બળ મળ્યું છે. આ વિસ્તારમાં પ્રવાસન પ્રેમીઓ આવતા થતાં સ્થાનિક રોજગાર-વ્યવસાય અવસરો ગ્રામીણ યુવાઓ અને પરિવારોને મળતા થતાં આર્થિક આધાર મળ્યો છે. બોર્ડર ટૂરિઝમ સાથે ઘૂડખર, ફલેમીંગો-ડેઝર્ટ સફારીનું આકર્ષણ ઉમેરીને સફેદ રણની પરિપાટીએ વિશ્વના પ્રવાસન નકશામાં સૂઇગામને સ્થાન અપાવવાની દિશામાં પણ આ બેઠકમાં વિચારવિમર્શ થયો હતો.