પાર્ટી બદલુ નેતાઓ માટે કાયદો બનવો જોઈએઃ શંકરસિંહ

ભરુચઃ આજે એનસીપી પ્રમુખ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં તેમણે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે ગરમાયેલી રાજનીતિ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, એનસીપીના ધારાસભ્યો જો ભાજપને મત આપશે તો મેચ ફિક્સિંગ કહેવાશે. આ સિવાય તેમણે જણાવ્યું કે, 19 મી તારીખે એનસીપીની મીટિંગ છે. આ મીટિંગ એનસીપી સાથે મારા સંબંધોનું ભાવી નક્કી કરશે. આ સાથે જ કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ અને ત્યારબાદ ગરમાયેલી રાજનીતિ મામલે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. શંકરસિંહે જણાવ્યું કે, પક્ષ પલટો કરનારા લોકોને સજા થાય તેવા નિયમો બનાવવા જોઈએ. પક્ષ પલટો કરવો તે ખરેખર ખોટી બાબત છે.

શંકરસિંહ વાઘેલાએ ભરુચમાં દહેજની યશસ્વી કંપનીના બ્લાસ્ટમાં ઘવાયેલા કામદારોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી. સાથે જ તેમણે સરકારના ભ્રષ્ટાચારના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કર્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ.