રાષ્ટ્રપતિની 15મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુલાકાત, અન્ય પ્રવાસીઓ માટે આ સમયે બંધ

અમદાવાદઃ વીકએન્ડમાં જો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાની ગોઠવણ કરી રહેલાં પ્રવાસીઓ માટે એક ખાસ ખબર મળી રહી છે. પંદરમીને શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત આવી રહ્યાં છે જેને લઇને  સવારે 10થી 12 વાગ્યા સુધી અન્ય મુલાકાતીઓ માટે આ સ્થળની મુલાકાત બંધ રહેશે.ફાઈલ ચિત્ર

રાષ્ટ્રપતિ શનિવારે ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. આપને જણાવીએ કે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પૂણ્યતિથિ 15 ડિસેમ્બરે આદરાંજલિ પાઠવવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં વોલ ઓફ યુનિટી નજીક આયોજિત પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

સવારે 10.30 વાગ્યે કેવડિયા પહોંચશે અને વેલી ઓફ ફ્લાવર જઇને સરદાર સાહેબની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે.

ત્યારબાદ તેઓ સરદાર સાહેબના જીવનકવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને પ્રદર્શની નિહાળીને 182 મિટર ઊંચી પ્રતિમા ન 132 મીટર ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પર જઇને સરદાર સરોવર બંધ સહિત કેવડિયાનો આહલાદક નજારો માણશે.

ગુજરાત સરકાર અને પશ્ચિમ રેલવે દ્વારા કેવડિયામાં 20 કરોડના ખર્ચેં નિર્માણ થનારા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ 12  વાગ્યે કરશે અને જનસભાને સંબોધન કરશે.

તેમની સાથે રાજ્યપાલ ઓ પી કોહલી મુખ્યપ્રધાન વિજય રુપાણી તેમ જ કેન્દ્રીય રેલપ્રધાન પીયૂષ ગોયલ જોડાવાના છે

બપોરે 2.30 કલાકે કેવડીયાથી વડોદરા પહોંચીને વાયુ દળના ખાસ વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.

રાષ્ટ્રપતિની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાતને લઈને સુરક્ષા સલામતીના કારણોસર શનિવારે 15 ડિસેમ્બરે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન અન્ય મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે તેની પણ સૌને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.