દારુની પરમિટ મુદ્દે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન

ગાંધીનગર- રાજ્યમાં દારુબંધીના કડક અમલ અને સખત કાયદાની રચના બાદ ગુજરાત સરકાર વધુ એક અગત્યનું પગલું ભરી રહી છે.  રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બોલાવેલી પ્રેસમાં તેમણે જણાવ્યું હતું કે લીકર પરમિટના કાયદામાં અમે સુધારો ઇચ્છીએ છીએ.તેમણે એક્સ આર્મીમેનને દારુની પરમિટ સંદર્ભે અગત્યની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આજથી નિવૃત્ત આર્મી મેનને લીકરની પરમિટ આપવાનું શરુ કરવામાં આવી રહ્યું છે. એક્સ આર્મીમેનને લિકર પરમીટ પર મળી રહેશે એક્સ આર્મીમેન માટે લિકર પરમીટ માટે જે પ્રક્રિયા હતી તે યથાવત રહેશે. અન્ય કિસ્સામાં નિયમ-પ્રકિયામાં સુધારણા કરી પરમીટ અપાશે

આ સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી પંદરેક દિવસમાં  લીકર પરમિટ વિશે નિયમમાં નવો સુધારો કરવામાં આવી શકે છે.જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં હેલ્થ પરમીટ ધારકોને દારૂ આપવાની પરમીટ આપવાની નિયમ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. પરંતુ એક્સ સર્વિસમેનોને અપાતી હેલ્થ પરમીટ માટે અગાઉની કાર્યપદ્ધતિને અનુસરીને જ પરમીટ આપવામાં આવશે. નિયમ પ્રક્રિયામાં સુધારણા કરી ખરેખર હેલ્થ પરમીટ મેળવવા પાત્ર સિવાયના લોકો હેલ્થ પરમીટ ન અપાય તે હેતુસર આ પ્રક્રિયા સુધારણા હેઠળ છે. નવી પદ્ધતિ અમલમાં ન આવે ત્યાં સુધી નવી હેલ્થ પરમીટ આપવાની કે રીન્યુ કરવાની કામગીરીને કામચલાઉ ધોરણે સ્થગિત કરાઇ છે. પરંતુ લશ્કરીદળોના નિવૃત સભ્યો (એક્સ સર્વિસમેન)ને અપાતી હેલ્થ પરમીટ અંગે કાયદાકીય હાલની પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. હવેથી આ હેલ્થ પરમીટ અગાઉની કાર્યપદ્ધતિ મુજબ નવી કે રીન્યુ કરાશે.