મને તમે ઘડયો છે એટલે હું ગાજ્યો જાઉં એમ નથી: સોનગઢમાં PM મોદી

સુરત: આજે દક્ષિણ ગુજરાતના આદિવાસી પ્રદેશ એવા સોનગઢ ખાતે વિજય ટંકાર રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી લાંબા કાળથી દેશ અને દુનિયાને આગવી દિશામાં લઈ જવામા સફળ થઈ છે. સરદાર સાહેબે આ દેશ માટે જે વિચાર્યુ હતું તે રસ્તો આઝાદી પછી બરાબર પકડી રાખ્યો હોત તો આજે હિન્દુસ્તાન ક્યાંથી ક્યાં પહોંચી શક્યું હોત પણ કમનસીબે સરદાર સાહેબ જે રસ્તા શોધતાં હતા તેને કોગ્રેસે છોડી દીધા હતાં.

સરદાર સાહેબ કોંગ્રેસ આંખમા કણાંની જેમ ખુંચતા હતા ત્યાર બાદ મોરારજી દેસાઈને મોકલ્યા તેમને પણ હેરાન કર્યા ત્યારબાદ તમે મોકલ્યો, એક ચા વાળાને મોકલ્યો. તેનો સ્વીકાર આ લોકો કરી શકતા નથી. આ લોકો મોદીને પતાવી દેવાની વાત કરે છે પરંતુ મને તમે ઘડયો તેથી હું ગાજ્યો જાય તેમ નથી. 23મીએ પરિણામ આવશે ત્યારે ભાજપ ફરી સરકાર બનાવશે. તેવો મારો ભરોસો છે.

ગુજરાતમાં જ્યારે હું મુખ્યપ્રધાન હતો ત્યારે આવા આતંકવાદી અને સ્લીપર સેલને ખતમ કરી દીધુ હતું. તે જ વાત હવે ભારત દેશમાં કરી રહ્યો છું. દેશમાં શાંતિ અને સદ્દભાવના માટે આતંકવાદને ખતમ કરવો જ પડે. આતંકવાદને જળમુળથી ઉખેડી નાંખવો જોઈએ. આતંકવાદીનો ઉછેર ખાતરપાણી પડોસથી આવતો હોય એટલે તેના મૂળિયા પડોશમાં જઈને ઉખાડવા પડે એટલે તેવી કામગીરી કરી છે. તેની સામે કોંગ્રેસ પુરાવા માગીને પાકિસ્તાનને સમર્થન જેવી વાત કરી રહ્યું છે.

હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમા સાયન્સની સ્કુલ ન હતી તેથી આદિવાસી વિસ્તારના બાળકો વધુ ભણી શકતા ન હતા. પણ મેં ગુજરાતમાં આવીને પહેલું કામ આદિવાસી વિસ્તારમાં સાયન્સ સ્કુલ શરૂ કરી છે.