PM મોદી 22 ડિસેમ્બરે મહિલા મોરચાના અધિવેશનમાં હાજરી આપશે

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ડિસેમ્બરે ગાંધીનગરના અડાલજમાં યોજાનાર મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. અને મહિલાઓને માર્ગદર્શન પુરુ પાડશે. તેમજ 13 ડિસેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક મળનાર છે. લોકસભાની ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ થયો છે.
ફાઈલ ચિત્ર
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ માહિતી આપતાં જણાવ્યું હતું , ભાજપની કેન્દ્રીય યોજના મુજબ તમામ વિવિધ  રાષ્ટ્રીય મોરચાઓના રાષ્ટ્રીય સંમેલનો અલગઅલગ રાજ્યોમાં યોજાનાર છે. તેના સંદર્ભમાં મહિલા મોરચાનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન તા.21-22 ડિસેમ્બરના રોજ ત્રિમંદિર, અડાલજ, જિ.ગાંધીનગર ખાતે યોજાનાર છે. તેમાં તા.22 ડિસેમ્બરના રોજ સાંજે 04 કલાકે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અધિવેશનમાં ઉપસ્થિત રહીને સમાપન માર્ગદર્શન આપશે.
તા.13 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પદાધિકારી તેમજ દરેક મોરચાના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી બેઠકમાં ભાગ લેવા ગુજરાતમાંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા દિલ્હી જશે.
તા.16 ડિસેમ્બરના રોજ શ્રી કમલમ્, પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રભારી, લોકસભા ઈન્ચાર્જ, જિલ્લા પ્રમુખ, જિલ્લા મહામંત્રીની એક બેઠક મળશે. તેમાં સંગઠનાત્મક અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.