ગાંધીનગર: અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં PM મોદી આપશે હાજરી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદી પ્રથમવાર બીજી નવેમ્બરને ગુરુવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જોકે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રાજકીય કરતાં ધાર્મિક કાર્યક્રમ વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે તે નિમિત્તે યોજાનારા રજત જયંતી મહોત્સવના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે.

વડાપ્રધાનની અક્ષરધામ મુલાકાતને લઈને સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આાવ્યો છે. સુરક્ષાના ભાગરુપે અક્ષરધામ મંદિર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. પીએમ મોદી હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની પ્રચારસભાઓને સંબોધન કર્યા બાદ સાંજે લગભગ 6 વાગ્યા આસપાસ સીધા જ ગાંધીનગર આવશે અને અક્ષરધામ મંદિરના રજત જયંતિ કાર્યક્રમમાં હાજરી આપીને રાત્રે દિલ્હી પરત ફરશે.