દીવાળીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જતાં પ્રવાસીઓએ આ જાણવું જરૂરી

કેવડિયા- વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે અન્ય આકર્ષણો નિહાળવા માટેના દરો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના પ્રવાસીઓ માટે બસ ટિકીટના દર રૂ.૩૦, એન્ટ્રી ટિકીટ, સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.૧૨૦ તથા એન્ટ્રી ટિકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના દર રૂ.૩૫૦ રહેશે.

૩ વર્ષથી ૧૫ વર્ષ સુધીના બાળકો માટે બસ ટિકીટના દર રૂ.૩૦, એન્ટ્રી ટિકીટ, સ્ટેચ્યૂ બેઈઝપ્રદર્શન વિગેરેની ટીકિટના દર રૂ.૬૦ તથા એન્ટ્રી ટિકીટ સ્ટેચ્યૂ બેઈઝ પ્રદર્શન તથા વ્યુ ગેલેરીના ટિકીટના દર રૂ.૨૦૦ નિયત કરાયા છે, એમ સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું છે.

આ તમામ ટીકિટો શ્રેષ્ઠ ભારત ભવન ઉપરાંત મેમોરીયલ અને વીઝિટર સેન્ટર પરથી મેળવી શકાશે, તેમજ WWW.SOUTICKETS.IN પરથી ઓનલાઇન બુકીંગથી પણ ટીકિટ મેળવી શકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યુ ગેલેરી તથા પ્રદર્શન હૉલની પ્રવાસીઓ માટેની દૈનિક ક્ષમતા પૂર્ણ થયે ઓન લાઇન ટીકિટ બુકીંગ આપો આપ બંધ થઇ જશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રદર્શન દર સોમવારે રહેશે બંધ

ટીકીટોના વેચાણનો સમય સવારના ૮:૩૦ કલાકથી બપોરનાં ૧૬:૦૦ કલાક સુધીનો રહેશે. તથા દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, પ્રદર્શન અને વ્યુ-ગેલેરી બંધ રહેશે. શાળાના વિદ્યાર્થીઓને સરદાર સરોવર બંધ જોવા માટે શાળાની બસોને બંધ સુધી જવા દેવામાં આવશે.

દીવાળીની રજાઓ દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યામાં ભારે ધસારો થવાની સંભાવના છે. ઓન લાઇન બુકીંગ પણ ઘણા થયાં છે. ગઇ કાલે ૭,૦૦૦થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડીયા કોલોનીમાં પ્રવાસીઓનો ભારે ધસારો છે. રજાઓમાં ભારે બુકીંગ અને પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.