તાત્કાલિક બેઠકમાં સરકારનું કહેણઃ પારણાં કરો, સમાજે કહ્યું મધ્યસ્થી કરીશું

ગાંધીનગર-અનામત માગણી સાથે અનશન પર બેઠેલાં હાર્દિક પટેલનો મુદ્દો આજે દિવસભર રાજકીય હલચલોમાં તેજ ગતિવિધિ કરાવનાર બની રહ્યો. બપોરે બંધબારણે પાટીદારોની છ સંસ્થાઓએ કરેલી બેઠક બાદ અપીલ કરવામાં આવી હતી કે હાર્દિક પારણાં કરી લે. આ બાદ તરત જ એક્શનમાં આવેલી ગુજરાત સરકારના 4 પ્રધાનોની કમિટી સાથે પાટીદાર આગેવાનોની તાત્કાલિક બેઠક પણ યોજાઈ ગઈ. જે બાદ તરત જ રાત્રે 8 કલાકે પાટીદાર નેતાઓ દ્વારા પ્રેસ સંબોધવામાં આવી.

તેમની પ્રેસ બાદ તરત જ સરકાર તરફથી ઊર્જાપ્રધાને પણ આ બેઠક અંગે મીડિયા સમક્ષ નિવેદન કર્યું છે.બંને પક્ષના મીડિયાને સંબોધનની મુખ્ય બાબતો….

પાટીદાર નેતાઓની પ્રેસ સમક્ષ રજૂઆતઃ

1-હાર્દિક સાથે વાત કરીશું. ચિતિત છીએ પારણા કરી લે તેવું તેને કહીશું સ્વીકારશે તો અમારા પ્રતિનિધિ પારણાં કરાવવા જશે તે કહેશે ત્યારે કરાવીશું. સમાજના હિતમાં અમે સરકાર સાથે વાત કરીશું. તમામ પ્રશ્નોની ચર્ચા કરીશું.

2-સમાજના પણ પ્રશ્નો હોય હાર્દિકભાઈના પણ પ્રશ્નો હોય, અનામતના પ્રશ્ને ચર્ચા કરી છે. આગળ પણ આ મુદ્દે ચર્ચા કરીશું. ઇલેક્શન પહેલાં અનામતના મુદ્દા હતાં તેમાં ત્વરિત કામો થાય તે મુદ્દા હતાં તેમાં જે કચાશ હતી તે મુદ્દાઓની રજૂઆત સરકારે ધ્યાને લીધી છે. ખેડૂતોના પ્રશ્નોની પણ ચર્ચા સરકાર સાથે કરી છે.

3-આગળ શું થાય થાય છે તે જોવાનું છે. સરકારનું વલણ પોઝિટિવ છે, ખેડૂતોના જનરલ પ્રશ્નોની ચર્ચા કરી છે. આ પહેલી જ બેઠક હતી અમારા પ્રશ્ન સરકારના ટેબલ પર મૂકાયાં છે બધાં જ વિષયોની ચર્ચા કરી છે સરકાર સાથે.

4-સ્વાભાવિક રીતે હાર્દિકના પારણાં જલદી થાય તે માટે મધ્યસ્થી તરીકે નહીં, પણ સમાજના આગેવાનો તરીકે ફરજનો એક ભાગ બને છે, સરકાર સરકાર છે તે વિશે શું પરિણામ આવે છે તે આગળ જોવાનું રહેશે.

5-હાર્દિક સાથે અમારા પ્રતિનિધિ જશે અને ચર્ચા કરીને સરકારના પોઝિટિવ અભિગમની ચર્ચા થશે. સાથે અમે સમાજની લાગણી પહોંચાડી પારણાં કરી લો તેવી વાત કરીશું.

6-રમેશ દૂધવાળા સાથે ચર્ચા કરીને તેઓ અમારી પાસે આવ્યાં હતાં. સરકારના આમંત્રણથી જ અમે છ સંસ્થાઓ અહીં વાત કરવા આવ્યાં છીએ.

 

બેઠક બાદ ઊર્જાપ્રધાન સૌરભ પટેલનું નિવેદન

1-કેસો પાછા ખેંચવાની વાત, શૈક્ષણિક ક્ષેત્રની મદદ વગેરે પહેલાં કરેલી તમામ બાબતો પહેલાં પણ ચર્ચી હતી.. તેમના તરફથી ઘણાં સૂચનો મળ્યાં છે જેની આગામી દિવસોમાં સરકાર વિચારણા કરશે.

2-હાર્દિક પટેલની બાબતમાં સરકારે ચિંતા વ્યક્ત કરી છે સમાજના આગેવાનોને વિનંતી કરી છે કે બને તેટલી ઝડપથી પારણાં કરાવો તેમણે વિશ્વાસ આપ્યો છે કે હાર્દિકની પાસે જશે અને પારણાં કરવાની વિનંતી કરશે.

3-ઘણા વિષયો પર પાટીદાર સમાજે યોજનાઓમાં અમલીકરણના મુદ્દે રજૂઆત કરી છે અમે પોઝિટિવલી આગામી દિવસોમાં કામ કરીશું હાલ તો અમે પારણાં કરાવવાની અપીલ કરી છે.