હાર્દિક પટેલનું હવે નવું નિશાનઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી!

ગાંધીનગર-ગુજરાત વિધાનસભા ચૂંટણી અને એ પહેલાં અમામત મુદ્દે કોંગ્રેસના યુવા નેતાની ખુલ્લંખુલ્લા તરફદારી કરતાં હાર્દિક પટેલે પરેશ ધાનાણી સામે વિરોધના સૂર રેલાવ્યાં છે. એકસમયે હાર્દિકે પરેશ ધાનાણીને કોંગ્રેસ જીતે તો સીએમ બનાવવાની માગણી પણ હાર્દિકે કરી હતી. ત્યારે હાર્દિક પટેલનું વિરોધી વલણ રાજકીય આગેવાનોને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે.હાર્દિકે ધાનાણી સામે મોરચો ખોલતાં જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે. જે એક સારી બાબત છે અને ઉઠવો પણ જોઈએ. પણ છેલ્લાં અઢી વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલન કે જેમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનો અને નિર્દોષ પર થયેલા ખોટા રાજદ્રોહના કેસોનો મુદ્દો કેમ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતાં અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી કેમ ચૂપ છે.

પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં ચૂપ રહેવા માગતી હોય તો અમને એમ લાગે છે કે આવ ભાઈ હરખા આપણે બંને સરખા જેવું કામ ભાજપ કોંગ્રેસનું લાગે છે.અમને એમ હતું કે પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી જનતાને ફાયદો થશે પરંતુ જનતાના મુદ્દા ન ઉઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી રહ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાંય જો જનતા નિરાશ થાય તો હવે જનતા ક્યાં જશે ??

હાર્દિક પટેલના પરેશ ધાનાણી સામેના આ વલણને લઇને કોંગ્રેસ નેતાઓએ જોકે કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી ન હતી.