“માતાપિતા જ સાચા વેલેન્ટાઈન” વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ વંદના દિવસ ઉજવાયો

અમદાવાદ– શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી, ભાટ ખાતે આજે માતૃપિતૃ વંદના દિવસ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજે ભારતનાં યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ અને  કાર્ડ-ચોકલેટ કંપની દ્વારા માર્કેટિંગ વડે ૧૪-ફેબ્રુઆરીને વેલેન્ટાઇનનાં નામે ભટકાતા કરે છે ત્યારે એક દ્રષ્ટાંત રૂપે એસ.એસ.આઇ.ટી. એન્જીનીયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા માતાપિતાનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તિલક, ચરણ-પૂજન અને પ્રદક્ષિણા કરી કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય મહેમાન ભરત ગઢવી અને અંકિત રાવલ દ્વારા વિધાર્થીઓને સમજવ્યું હતું કે આજની મોઘવારીમાં પણ સર્વદુખ સહન કરીને માં-બાપ બાળકનાં દરેક સુખ માટે ૨૪ કલાક તત્પર રહે છે, બાળક ભણી-ગણી ભલે ડૉક્ટર-એન્જીનીયર કે શ્રેષ્ઠ ધનવાન બને પણ જ્યારે તે માં-બાપ બને ત્યારે જ માતા-પિતાનું મૂલ્ય સમજી શકે છે. માં-બાપનું ઋણ ચૂકવવું સ્વયં ભગવાન દ્વારા પણ શક્ય નથી.માતૃપિતૃ પૂજન દરમ્યાન જ્યારે બાળકોએ પ્રદક્ષિણા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માગ્યા ત્યારે માતાપિતા ભાવુક થઈ અશ્રુભીની આંખે બાળકોને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યથી કેમ્પસનું સમગ્ર વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું. વક્તાઓ કહ્યું હતું કે ગણેશ ભગવાન દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા પૂરા બ્રહ્માંડની યાત્રા કરી, જેના આશીર્વાદ સ્વરૂપે આજે ગણેશજીની દરેક ધાર્મિક-વિધિમાં સર્વપ્રથમ પૂજાય છે. આમ માતાપિતાનાં આશીર્વાદમાં વિશેષ શક્તિ રહેલી છે. જેની પ્રેરણા સ્વરૂપે આજના દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે હવે દરરોજ માતા-પિતાનાં આશીર્વાદ લઈ ઘરનો ઉંબરો ઓળંગીશું. આવો કાર્યક્રમ કોલેજ ખાતે શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ થયેલ છે. આ સંસ્થા ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કાર દ્વારા ભાવી યુવાનોનો સર્વાંગી વિકાસ કરી રાષ્ટ્ર વિકાસમાં વિશેષ ફાળો આપે છે.સંસ્થાના ટ્રસ્ટી રામકૃષ્ણસ્વામી અને અક્ષરપ્રકાશ સ્વામી દ્વારા આ પ્રકારના સંસ્કાર દરેક કોલેજમાં અપાય અને આ યુવાનોને પરિવાર અને રાષ્ટ્ર પ્રેમની ભાવના જાગે તો ખરા અર્થમાં ભારત ન્યુ-ઈન્ડિયા બનશે. આજે જ્યારે રૂઢિચુસ્ત એવા આબુધાબીમાં જો હિન્દુ મંદિરોની સ્થાપના થતી હોય તો જરૂરી છે કે ભારતનાં દરેક ઘરમાં સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ સચવાય અને તેનું સિંચન થાય એ હાલનાં સમયની જરૂરિયાત છે.આ સાથે કોલેજ દ્વારા થેલેસેમિયા જેવા ભયંકર રોગ વિષે માહિતી અને તેના ચેક-અપ કેમ્પનું આયોજન કરેલું હતું. આજના ફાસ્ટ જમાનામાં શહેરોમાં જ્યારે અકસ્માતોનાં ખૂબ બનાવો બને છે, આવા સમયે શહેરીજનો અને યુવાનોમાં રક્તદાનની આદત પડે તો ઘણા વ્યક્તિઓના જીવ અને પરિવાર બચાવી શકાય. કોલેજમાં ઉમળકાભેર ૧૦૦થી વધુ વિદ્યાર્થી અને સ્ટાફમિત્રો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અંતમાં સંસ્થાના ડાયરેક્ટર ધર્મેશ વંડરા દ્વારા આજના દિવસને યાદગાર દિવસ તરીકે વિદ્યાર્થી તથા તેમના માતા-પિતા અને સ્ટાફમિત્રોને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર ટકાવી રાખવા માટે કરેલ અદભુત અભિગમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.