16 જુલાઈથી શરુ થશે આ કાર્યક્રમ, 9 માસથી લઇ 15 વર્ષના બાળકોના વાલીઓ જાણે…

ગાંધીનગર- વર્ષ-2020 સુધીમાં ઓરીને નાબૂદ કરવાના નિર્ધાર સંદર્ભે દેશભરમાં ઓરી-રૂબેલા રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેનો ગુજરાતમાં 16મી જુલાઇ-૨૦૧૮થી પ્રારંભ થશે.  નવ માસથી લઇને 15 વર્ષ સુધીના અંદાજિત ૧.૬ કરોડ બાળકોને તેમાં આવરી લેવાશે. વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી વિભાગોનો વ્યાપક જનસહયોગ લઇને લક્ષ્યાંક સિદ્ધ કરાશે.

ઓરી-રૂબેલા અભિયાન દેશના ૨૦ રાજ્યોમાં ૯૫ ટકાથી વધુ કવરેજ સાથે સંપન્ન થયું છે અને આગામી 16મી જુલાઇથી ગુજરાત, ઝારખંડ અને છતીસગઢમાં આ કાર્યક્રમ શરૂ થશે. આ ઐતિહાસિક ઇન્જેકટેબલ રસીકરણમાં સૌ સહયોગ આપે તે જરૂરી છે. અગાઉ જે બાળકોને ઓરીની રસી અપાવી હોય તો પણ ફરીથી રસી અપાવવી જરૂરી છે. આની કોઇ સાઇડ ઇફેકટ નથી. આ રસી ઇન્જેકટેબલ હોઇ શાળા, આંગણવાડી કેન્દ્રો, પી.એચ.સી., મેડીકલ કોલેજોના વ્યાપક સહયોગથી કામગીરી કરાશે. આ માટે સ્ટાફને તાલીમબદ્ધ પણ કરી દેવાયા છે. આ રસી જમણા હાથના બાવડાંમાં ચામડીની નીચે આપવામાં આવશે. બાળકોમાં ઇન્જેકશનનો ડર ન રહે તે માટે પણ ખાસ કાળજી લેવાશે. આ અભિયાનનો સમયગાળો પાંચ અઠવાડિયાનો રહેશે. પ્રથમ બે અઠવાડિયામાં શાળાઓમાં રસીકરણ, ત્યારબાદ બે અઠવાડિયામાં આંગણવાડી અને આઉટરીયન સેશન દ્વારા રસીકરણ તથા પછીના એક અઠવાડિયામાં બાકી રહી ગયેલા બાળકોનું રસીકારણ કરાશે. ઘરે-ઘરે જઇને રસીકરણ કરાશે નહીં.

ઓરી નિવારણ અને રૂબેલા નિયંત્રણ માટે સામૂહિક જાગૃતિનું વાતાવરણ ઉભું થાય અને પ્રત્યેક વાલીઓ જાગૃત બનીને પોતાના બાળકોને રસી અપાવે તે અત્યંત અનિવાર્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાઇ રહેલ આ અભિયાનમાં સૌ પોતાની સામાજિક જવાબદારી સમજીને સહયોગ આપે તેવી નમ્ર અપીલ આરોગ્ય કમિશનર જયંતી રવિ દ્વારા કરવામાં છે.

  • રાજ્યભરમાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના અંદાજિત ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે
  • પાંચ અઠવાડિયા સુધી ચાલનારા આ અભિયાનમાં જનભાગીદારી થકી ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરાશે
  • આંગણવાડી કેન્દ્રો અને શાળાઓનો વ્યાપક સહયોગ લેવાશે
  • બાળકોને ઓરીની રસી અગાઉ આપી હોય તો પણ ફરીથી રસી અપાવવા અનુરોધ
  • ૨૦ રાજ્યોમાં અભિયાન પૂર્ણ : ૧૬મી જુલાઇથી ગુજરાત, ઝારખંડ, છતીસગઢમાં આરંભ