ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર અધિકારી-કર્મચારીઓને એવોર્ડ એનાયત

ગાંધીનગર-ગુરુવારે આઠમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પાટનગરમાં કરવામાં આવી. આ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમને સંબોધતાં રાજ્યપાલ ઓ પી કોહલીએ જણાવ્યું કે, મતદાતા એ લોકતંત્રનો સંરક્ષક છે અને ભારતનો નાગરિક દરેક ચૂંટણીઓને એક પર્વ સમજીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે.

ભારતમાં વિવિધ સંસ્કૃતિ, વિવિધ ભાષાઓ, શહેરી તેમજ ગ્રામીણ ક્ષેત્રે અનેક અડચણો સામે પણ દેશમાં સફળ ચૂંટણી પ્રક્રિયાઓ સંપન્ન થાય છે તે માટે તેમણે તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન આપ્યાં હતા. તેમણે યુવાનોને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી માત્ર ઔપચારિક ન બને તેની કાળજી રાખવા અપીલ કરી હતી.

 

 

વિશ્વમાં ૮૫૦ દેશો પૈકી ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ૧૯૫૦માં સ્થપાયેલ ભારતીય ચૂંટણી પંચ દ્વારા તબક્કાવાર ચૂંટણીઓ પ્રત્યે વિશ્વસનીયતા વધે તે માટે વધુ મતદાતાઓ બનાવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ પ્રદાન કરનાર અધિકારી-કર્મચારીઓ, મતદાન જાગૃતિ માટે પ્રદાન આપનાર સ્ટેટ આઇકોન, તેમજ મતદાન જાગૃતિ માટે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું રાજ્યપાલ કોહલી અને મહાનુભાવો દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.

આ  સાથે ઇ.આર.ઓ. નેટ માહિતી પુસ્તિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાર મંડળ, વોર્ડ સીમાંકન અંગેના જજમેન્ટની પુસ્તિકા તથા ચૂંટણીપ્રક્રિયા દરમિયાન મતદાન પ્રક્રિયા અને ચૂંટણી અધિકારીની ફરજો અંગેના વિવિધ પુસ્તકોનું વિમોચન પણ કરાયું હતું.