હાશ! નર્મદા ડેમમાં નવા નીરની આવકથી સંકટ ટળ્યું, જળ સપાટી 115.5 મીટર

ગાંધીનગર-પાણી માટે સમગ્ર રાજ્યમાં જ્યાં સરકાર અને જનતાની નજર જતી હોય છે તેવા સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો વધતાં તંત્રને રાહત થઇ છે. મળતાં અહેવાલો પ્રમાણે મધ્યપ્રદેશમાં કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ થતાં ડેમનું જળસ્તર વધ્યું છે.જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.  ડેમની સપાટી 115.5 મીટર પર પહોંચી છે. સાથે નર્મદા ડેમમાં 30 હજાર ક્યૂસેક પાણીની આવક પણ થઇ રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઇ ગયો છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લાં ચાર દિવસમાં પાંચ મીટર જેટલો વધારો થયો છે.

સારા સમાચારના પગલે ગુજરાતના ખેડૂતવર્ગમાં ખુશી છવાઈ ગઇ છે. હાલમાં નર્મદા ડેમમાં 500.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાત પરથી જળસંકટ દૂર થતાં સરકારે પણ રાહતનો શ્વાસ લીધો છે.