સંબંધોની નારાજગીમાં મહિલાએ ભત્રીજીના મંગેતરને ધાબેથી પાડી દેવાનો અજબ કિસ્સો…

અમદાવાદઃ અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને સહુ કોઈ અચંબિત થઈ ઉઠે. કળીયુગમાં મનુષ્યના વિચારો અને કેટલાક લોકોની નિયત કેટલી તળીયે પહોંચી ગઈ છે તે વાતની સાબિતી આ કિસ્સા પરથી મળે છે. વાત છે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારની.

(પ્રતિકાત્મક તસવીર)

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા એક યુવાનની સગાઈ નારણપુરા વિસ્તારની એક યુવતી સાથે થઈ હતી. મજૂરી કામ કરતા આ યુવાન સામે યુવતીના ફોઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં 3 વર્ષ પહેલા ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સમાધાન કરવા માટે યુવતીની ફોઈએ આ યુવાનને પોતાના ઘરે બોલાવ્યો હતો. ઘરે બોલાવ્યા બાદ આ યુવાનને ધાબા પર લઈને જઈને યુવતીની ફોઈએ યુવાનને મારવાના પ્રયત્ન સાથે ત્રીજા માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. યુવાન ત્રીજા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે સમગ્ર મામલે યુવાને પોતાની ફોઈ સાસુ સામે જાનથી મારી નાંખવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં લખાવ્યાં પ્રમાણે દિનેશને ખાનગીમાં વાતચીત કરવી છે તેમ કહી હેતલબેન એપોર્ટમેન્ટના ત્રીજા માળે લઈ ગયા હતાં. તેની નજર ચુકવી હેતલબેને દિનેશને ધકકો મારી દેતા દિનેશ ત્રીજા માળેથી ધાબા પર પટકાયો હતો. જે પછી તેને ઘણી ઇજા પણ થઇ હતી. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી યુવાને નારણપુરા પોલીસમાં યુવતીના ફોઈ સામે જાનથી મારવાની ફરિયાદ નોંધાવી હતી.