ગુજરાતમાં 1,14,264 કુટિર ઉદ્યોગ માટે અરજીઓ મંજૂર કરાઇ

ગાંધીનગર-કુટિર ઉદ્યોગ પરના વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કુટિર ઉદ્યોગપ્રધાન જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ-૨૦૧૫-૧૬ના ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૭,૫૭૧ અરજીઓ, વર્ષ-૨૦૧૬-૧૭માં ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૮,૯૫૯ અરજીઓ જ્યારે વર્ષ-૨૦૧૭-૧૮માં ફેબ્રુઆરીની સ્થિતિએ ૩૬,૮૦૦ના લક્ષ્યાંક સામે ૩૭,૭૩૪ અરજીઓ એમ ત્રણ વર્ષમાં ૧,૧૦,૪૦૦ના લક્ષ્યાંક સામે ૧,૧૪,૨૬૪ અરજીઓ કુટીર ઉદ્યોગ માટે રાજય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.આમ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦ ટકાની સામે અનુક્રમે ૧૦૨ ટકા, ૧૦૫ ટકા અને ૧૦૨ ટકા વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદ જિલ્લા અને શહેરમાં તા.૩૧.૦૧.૨૦૧૮ની સ્થિતિએ કુટીર ઉદ્યોગ અન્વયે લોન સહાય માટે આવેલી તમામ એટલે કે અનુક્રમે ૨,૬૪૯ અને ૬,૭૧૯ એમ કુલ ૯૩૬૮ અરજીઓ રાજ્યના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર કરવામાં આવી છે.

વર્તમાન સ્થિતિએ અમદાવાદ શહેર અને જિલ્લામાં એકપણ અરજી પડતર નથી, તમામ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં તા. ૩૧.૦૧.૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૯,૩૬૮ લાભાર્થીઓને રૂ.૧૮,૯૪૯.૨૦ લાખની લોન બેન્ક દ્વારા આપવામાં આવી છે.