ગુજરાત વિકાસના પંથેઃ સૌરઊર્જા પોલિસી-2021 જાહેર

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘સોલાર પાવર પોલિસી 2021’ની જાહેરાત કરી છે. આ પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. આ સોલર પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવશે. નવી પોલિસીથી વીજખર્ચ  આશરે રૂ. 4.50ની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી આપવામાં આવી રહી છે. આ પોલિસી આવતાની સાથે ‘મેડ ઇન ગુજરાત’ વિશ્વભરમાં છવાશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે સોલર એનર્જી ક્ષેત્ર અને લોકોને પરવડી શકાય એવી વીજ પહોંચાડવા માટે રાજ્ય સરકારે 2015માં સોલર પોલિસી લાગુ કરી હતી.

રાજ્યમાં રજૂ કરવામાં આવેલી આ પોલિસી દેશની પ્રથમ સોલાર પોલિસી છે. આ પોલિસીના મુખ્ય ત્રણ ફાયદા થશે. આ પોલિસીથી વીજળી ઉત્પાદન ખર્ચ ઓછો થશે. વિશ્વમાં ગુજરાતનાં ઉત્પાદનોને સ્થાન મળશે અને નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થવાથી રાજ્યમાં મોટા પાયે રોજગારી ઊભી થશે.

જળ શુદ્ધીકરણ પ્લાન્ટ ભેટ આપ્યો

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની 16 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 28 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માટે ડિજિટલ રૂપથી સેરેમની કરી હતી. તેમણે સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં રૂ. 103.26 કરોડના પ્રોજેક્ટનો પ્રારંભનો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યો હતો. તેમણે રાજપીપળામાં રૂ. 17.77 કરોડના ખર્ચે સીવેજ યોજનાની આધારશિલા રાખી હતી. મુખ્ય પ્રધાને ગુજરાત શહેરી વિકાસ નિગમને શુભકામનાઓ આપી હતી.