કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદ, 29 વર્ષ જૂનો કેસ…

અમદાવાદઃ જામજોધપુરમાં 29 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ મામલે કોર્ટનો ચૂકાદો આવી ગયો છે. જામનગર સેશન્સ કોર્ટે 1990 જામજોધપુર કસ્ટોડીયલ ડેથ મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે કોર્ટમાં રજૂ થયા હતા. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો થશે તેના પર સવારથી જ ચર્ચા હતી. ત્યારે જામનગર સેશન્સ આ વચ્ચે કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

1990માં બની હતી ઘટના

અયોધ્યા મંદિરના મુદ્દે બે દાયકા અગાઉ ભાજપના નેતા એલ.કે.અડવાણીએ કાઢેલી રથયાત્રા અટકાવવાના પગલે વિરોધનો વંટોળ ફેલાયો હતો. જેના બાદ જામજોધપુર ખાતે 1990માં તોફાનો ફાટી નીકળ્યા હતા. સંજીવ ભટ્ટ આ દરમિયાન જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા. ત્યારે 30 ઓક્ટોબર 1990ના રોજ આ તોફાનોમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણાની સહિત 134 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વૈષ્ણવીની ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. તેને જામીન પર મુક્ત કર્યાના 10 દિવસ બાદ વૈષ્ણાનીનું મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા અત્યાચાર કરાયા બાદ તેનુ મોત થયુ હતુ તેવુ તેના પરિવારે આરોપ મૂક્યો હતો. આ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદની કાર્યવાહીમાં કાનૂની લાંબી લડત સુપ્રીમ કોર્ટ સુધી થઇ હતી.

જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલામાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિતના 7 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેને પગલે કોર્ટ પરિસરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.