અમરેલીઃ આખરે દીપડી પાંજરામાં પૂરાતા લોકોને હાશકારો

અમરેલીઃ બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું ત્યારે દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. આ સમાચાર મળતા જ અમરેલીના હજ્જારો ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો આંતક વધી ગયો હતો, આ દીપડાઓ માનવભક્ષી બની ગયા હતા, જેને કારણે ખેડૂતોના માથા પર મોત મંડરાઈ રહ્યું હતું. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. આખરે દીપડા દેખાય ત્યાં ઠાર મારવાના ઓર્ડર આપ્યા હતા. આ વચ્ચે મંગળવારની સવારે દીપડી પકડાયાના સારા સમાચાર મળ્યાં છે.વનવિભાગની ટીમ સતત ત્રણ દિવસથી દિપડાને પાંજરે પુરવા મથી રહી હતી. ત્યારે વનવિભાગ તરફથી દીપડાને પાંજરે પુરવા માટે 72 કલાકનો સમય માંગવામાં આવ્યો હતો. 72 કલાકનો સમય વિતવા છતા હજુ સુધી દિપડાને પાંજરે પુરાવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા ન હતા. તો બીજી તરફ સતત ગામના લોકો દીપડાના ભયના ઓથાર નીચે જીવી રહ્યા હતા. ગામના લોકમાં દીપડાની દહેશત એટલી વ્યાપી ગઈ છે કે લોકો હવે એકલા ખેતરે પણ જતા ડરે છે. તો બીજી તરફ સતત ત્રણ દિવસથી વનવિભાગના કર્મચારીઓ દીપડાને પકડવા માટે દિવસ રાત જંગલ ખુંદી રહ્યા હતા. દીપડાને પકડવા માટે 30થી વધારે પાંજરા મૂકવામાં આવ્યા હતા. અને વનવિભાગ તરફથી દીપડા દેખે ત્યા ઠાર કરવાના પણ ઓર્ડર આપવામાં આવ્યા હતા. ત્યારે 72 કલાકની વન વિભાગની મુદત પણ પૂરી થઈ હતી. 30 પાંજરાં અને વન વિભાગના 200 કર્મચારીઓના હાથ 72 કલાક બાદ પણ ખાલી. ક્યારે પકડાશે 17 લોકોને ભરખી જનારો માનવભક્ષી દીપડો એવો લોકો સતત સવાલ કરી રહ્યા હતા. ત્યારે આ વચ્ચે એક દીપડી પકડાઈ છે.

કાગદડીના સરપંચ વિનુભાઈ કાનાણીની વાડીમાંથી દીપડી પાંજરે પૂરાઈ છે. વનતંત્ર દ્વારા રાત્રિના 3 વાગ્યે દીપડીને પાંજરે પુરીને વનતંત્ર દીપડીને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. વનવિભાગના મુખ્ય સરક્ષક એ.એમ.પરમારે દીપડી પકડાયાની પુષ્ટિ કરી છે. ઉલ્લેખનીય છે કે, બગસરા પંથકમા દીપડાને શોધખોળ શરૂ કરાઈ હતી. સાપર ગામ નજીક સીમ વિસ્તારમાં ગઈકાલે દીપડો દેખાયો હતો, પરંતુ વનવિભાગ ઘટના સ્થળે પહોંચતા જ દીપડો ભાગ્યો હતો. શાર્પ સૂટર સહિત પોલીસની ટીમો સાથે સાપર આસપાસ ખેતર વિસ્તારમાં ગઈકાલે શોધખોળ શરૂ કરાઈ હતી.