અમદાવાદમાં ‘ધ ગીર’, ડોમેસ્ટિક ટર્મિનલ પર નવું આકર્ષણ

અમદાવાદ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ વન્યજીવ પ્રેમી રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું છે.‘ધ ગીર’એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલના હસ્તે અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં 26 જૂને કરવામાં આવ્યું છે.

આરઆઇએલ સામાજિક વિકાસનાં કાર્યોમાં આગેવાની લેતાં આ પ્રોજેક્ટ લગભગ 11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી જ એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીર પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલોમાંથી ડોમેસ્ટિક ટર્મિનલ પર અરાઇવલ અને ડિપાર્ચર એમ બંને વિભાગમાંથી જોઇ શકાય છે. અરાઇવલ લોંજમાં રાખવામાં આવેલા ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવામાં મળતી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજને કારણે અદ્દલ ગીર જંગલનું તાદૃશ્ય વાતાવરણ ઊભું થયું છે.

ધ ગીરના પ્રારંભે નથવાણીએ જણાવ્યું હતું કે “શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણાં લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની મુલાકાત લઈ શક્યા હશે નહીં. અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે. એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઇપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઈની પર હુમલો કરતા નથી કે કોઇને હાનિ પહોંચાડતા નથી. આ સૌંદર્યીકરણ પ્રોજેક્ટમાં પણ જ્યારે સિંહ-પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે ત્યારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદૃશ્ય અનુભૂતિ કરાવે છે,”

સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે,“ગુજરાતના ગીર જંગલને એરપોર્ટ પર પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની અનોખી સંકલ્પના માટે હું પરિમલભાઈ નથવાણીનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં પોતાના રાજ્યની ઓળખ અને ખાસિયતને પોતાના એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવી હોય તેવું પહેલીવાર આટલી સરસ રીતે આ ગીર પ્રોજેક્ટ થકી શક્ય બન્યું છે.”અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, “દેશની બહારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધોરણે એસ.વી.પી.આઇ. એરપોર્ટ, અમદાવાદના સૌંદર્યીકરણનો પ્રોજેક્ટ મારા હૃદયની ખૂબ જ નજીક છે. સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફ્લાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેક્ટ અમદાવાદમાં કરવાની પ્રેરણા આપી. જો કે, જીવંત સિંહને લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિ તૈયાર કરાવી. મને ખાતરી છે કે ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણની સાથે-સાથે આબેહૂબ પ્રતિકૃતિઓ તમામ ઉંમરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે.”