સુરતમાં ૧૮ મુમુક્ષુઓ પ્રભુ પંથોત્સવમાં વૈરાગ્યની વાટ પકડશે

સુરત- દીક્ષા નગરીનું બીરુદ મેળવી ચુકેલી સુરત નગરીમાં ફરી એકવાર સામુહિક દીક્ષાની શરણાઇ ગૂંજી ઉઠી છે. જેમની અધ્યાત્મ વાણીથી ચાર વર્ષ અગાઉ 45 અને પછીના બે વર્ષમાં 36 મુમુક્ષુઓ સુરતમાં દિક્ષિત થઈ ચૂક્યા છે તેવા જિન યોગની નિશ્રામાં જ ફરીવાર તાપી તટે પદ પ્રદાન, 18 દીક્ષા અને માળારોપણના ત્રિવેણી સંગમ સ્વરૃપ પ્રભુ પંથોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યુ છે. અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત આ ત્રિવેણી સંગમ ઉત્સવનો 28મી નવેમ્બરથી આરંભ થઇ રહ્યો છે.

સૂરિશાંતિના ચરમ પટ્ટધર મોક્ષમાર્ગ મસિહા જૈનાચાર્ય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા દીક્ષાધર્મનાયક જૈનાચાર્ય યોગતિલકસૂરિશ્વરજી મહારાજાએ સુરતનાં પાલમાં શાંતિવર્ધક જૈનસંઘમાં ચોમાસુ પુર્ણ કર્યુ. આ બંને આચાર્યો ‘જિન-યોગ’ની અધ્યાત્મવાણીથી વૈરાગી બનેલા ૧૮ દીક્ષાર્થીઓ સંસાર ત્યાગ કરીને સંયમ માર્ગે જવા તૈયાર થયા છે. પ.પૂ. આ. ભ. સોમસુંદરસુરીશ્વરજી મ., પ.પૂ. આ. ભ. જિનચન્દ્રસૂરિશ્વરજી મ., પ.પૂ. આ. ભ. શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મ., પ.પૂ. આ. ભ. યોગતિલક સુરીશ્વરજી મ., આદિ સુરીરામ તથા સુરિશાંતિ સમુદાયના ૩૫૦થી વધુ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં તમામને દીક્ષા મુહૂર્ત અપાયુ હતું. આ દીક્ષા ઉત્સવને પ્રભુ પંથોત્સવ નામ આપવામાં આવ્યુ છે. પ્રભુ પંથોત્સવમાં આ તમામ સાધુ-ભગવંતોની નિશ્રા પ્રાપ્ત થશે. આ ઉત્સવ અધ્યાત્મ નગરી, શાંતિવર્ધક જૈનસંઘ પાલ, સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે, પાલના આંગણે યોજાશે.

ત્રિવેણી ઉત્સવ પ્રભુ પંથોત્સવમાં 28મી નવેમ્બરે રાત્રે 8.30 વાગ્યે પાલ વિસ્તારમાં સમગ્ર પાલને પવિત્ર અને ઝાકમઝોળ કરતી વાંદોલી નીકળશે. 29મી નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે દેવ વિમાન તુલ્ય જિનાલયમાં મેરૂ મહોત્સવને યાદ કરાવતી સ્નાત્રપૂજા, રાત્રે 8.30 કલાકે બાળ કીશોરના રોમરોમમાં ખુમારીનો સંચાર કરાવતી બાળ દ્રશ્યાવલિ બાલવીર જૈનમની ભજવણી થશે. 30મી નવેમ્બરે રાત્રે 9 કલાકે દીક્ષાર્થીઓનો એક અનોખા અંદાઝમાં નવી રોચક શૈલીમાં ભવ્ય વિદાય સમારંભ યોજાશે. તા-1લી ડિસેમ્બરે સવારે 8.30 કલાકે સુરતે ક્યારેય નહી નીહાળ્યો હોય એવો વર્ષીદાનનો ભવ્ય વરઘોડો સુરતના રાજમાર્ગો પર ફરશે. સાથે સમસ્ત સુરત સંઘનું સ્વામિ વાત્સલ્ય થશે. સાંજે 7.30 કલાકે અકબરની મુંઝવણ, બિરબલનો જવાબ જીવંત દ્રશ્યાવલિ ભજવાશે. અને તા-2જી ડિસેમ્બરે સવારે 5 વાગ્યે પદપ્રદાન, પ્રવ્રજ્યા અને માળારોપણનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સુરત સહિત સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં ભાવુકો સુરતમાં ઉમટી પડશે. આ તમામ માટે શ્રી સંઘ, અધ્યાત્મ પરિવાર અને નિમંત્રક મેતીબેન ઉમેદચંદ રૃપચંદ સંઘવી પરિવાર(સણવાલ) દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

12થી 42 વર્ષના દીક્ષાર્થીઓ છે

આ ૧૮ દીક્ષાર્થીઓમાં ૧૨ વર્ષથી લઇને ૪૨ વર્ષના મુમુક્ષુઓ છે. જેમાં સુરતના સાત દીક્ષાર્થીઓ છે. ૧૮ દીક્ષાર્થીઓમાં મુંબઇનું એક આખુ ફેમિલી દીક્ષા ગ્રહણ કરશે. જેમાં વિપુલભાઇ શેઠ અને તેમની પત્ની નિપુણાબેન તથા બંનેના બે સંતાનો ૧૩ વર્ષની હીરકુમારી અને ૧૨ વર્ષનો જિનાર્થ છે. તો પાલડીની નિરાગી તથા યશ્વી દોશી સગી બહેનો સંગાથે સંયમમાર્ગે જશે. આ ઉપરાંત મેધાવી અને કુશાગ્ર વિનિતકુમાર ભંડારી તેના ભાઇના પંથે દીક્ષાઅંગીકાર કરશે. જ્યારે ઉપધાન તપ તથા દીક્ષા મહોત્સવના લાભાર્થી મેતીબેન ઉમેદચંદ રૃપચંદ સંઘવી પરિવાર(સણવાલ) લાભાર્થી પરિવારમાંથી રોનક અને યશ્વી બંને ભાઇ-બહેન પણ દીક્ષા લઇ રહ્યા છે. દીક્ષા મહોત્સવના સહ લાભાર્થી પરિવાર વાવના કાનજીભાઈ ગોવિંદજી મેહતા પરિવારમાંથી જાણીતા ફેશન ડિઝાઇનર નિરાલીબેન મહેતા પણ દીક્ષા માર્ગે પ્રયાણ કરશે.


સુરી જિન-યોગની પ્રેરણાથી સુરતમાં પાંચ વર્ષમાં કુલ 99 દીક્ષા

વર્ષ ૨૦૧૪માં ડિસેમ્બર મહિનામાં ૪૫ મુમુક્ષુઓએ જ્યારે ડિસેમ્બર ૨૦૧૬માં ૩૬ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી અને હવે આ બંને મહાન જૈનાચાર્ય મોક્ષમાર્ગ મસીહા શ્રી જિનચંદ્રસૂરિશ્વરજી તથા દીક્ષાના જાદુગર કહેવાતા શ્રી યોગતિલકસૂરિશ્વરજી મહારાજની વૈરાગ્યવાણીથી 18 દીક્ષાર્થીઓ સંયમ માર્ગે જશે. આમ આ પાંચ વર્ષમાં સુરી જિન-યોગની પાવનવાણીથી સુરતમાં કુલ 99 સામૂહિક દીક્ષા થશે. જયારે આ 18 દીક્ષા સાથે અન્યત્ર મળીને કુલ 169 દીક્ષા થશે.

દીક્ષા મહોત્સવના આકર્ષણ

3 લાખ સ્કેવર ફૂટમાં વિશાળ અધ્યાત્મ નગરીની રચના કરવામાં આવી છે. જેમાં દીક્ષા મંડપ 1 લાખ સ્કવેર ફૂટનો છે. જિનાલય 15000 સ્કવેર ફૂટમાં છે. આ સાથે નગરીમાં પુરીમતાલ પ્રાસાદ, બાળકો માટે બાળનગરી, પપેટ શૉ, પ્રદર્શની, સ્ટોરી ગેમ અને સંસારની વાસ્તવિકતાને પ્રગટ કરતી નરકની રચના બનાવાઈ છે.