2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને…..

રાજકોટ- ગઝલની કોઇ મહેફિલમાં જગજિતસિંઘ જ્યારે અબ મૈં રાશન કી કતારોં મેં નઝર આતા હું, અપને ખેતોં સે બિછડને કી સઝા પાતા હું…એ ગઝલ રજૂ કરતા ત્યારે શ્રોતાઓ ડોલી તો ઊઠતા પણ જો એ સભાગૃહમાં કોઇ ગુજરાતી શ્રોતા પણ હોય તો એના હાથની તાલીનું જોર અને અવાજ જરાક વધારે રહેતો. કારણ કે આ હિન્દુસ્તાની  ગઝલ લખી છે ગુજરાતના શાયર ખલીલ ધનતેજવીએ. આમ તો ગુજરાતી ગઝલના ચાહકોના મુખે માવઠાં ને હેલી વાળા એમના અનેક શેર રમતા હોય છે પણ આજે ઘડી રળિયામણી આવી છે. પૂ. મોરારીબાપુની પ્રેરણાથી ગુજરાતી વિદ્યમાન કવિને દર વર્ષે અપાતો નરસિંહ મહેતા એવોર્ડ આ વર્ષે ખલીલ ધનતેજવીને આપવાનો નિર્ણય નરસિંહ મહેતા સાહિત્ય નિધિએ લીધો છે. પ્રણાલિકા પ્રમાણે, શરદ પૂર્ણિમાના દિવસે આ એવોર્ડ પૂ.બાપુના હસ્તે આ લોકપ્રિય ગઝલકારને અપાશે.

ખલીલ ધનતેજવી- એ નામ લોકો સુધી,વાચક-ભાવક સુધી પહોંચ્યું ગઝલો થકી. એ જાણીતા એમના ગઝલ સર્જનને કારણે છે અને ખાસ તો એમના અંદાઝે બયાંને લીધે છે. બાકી શબ્દ સાથેનો એમનો સંબંધ ફક્ત ગઝલને લીધે નથી. સાહિત્યના અન્ય આયામોમાં પણ એમનો વિહાર છે. લેખક હોય તો ફિલ્મના સંવાદ લખે, કવિ હોય તો ફિલ્મમાં ગીત પણ લખે પણ ખલીલભાઇએ તો ફિલ્મોના નિર્માણ-નિર્દેશન પણ કર્યાં છે. ખાપરો ઝવેરી, ડો.રેખા એમની ફિલ્મના નામ છે. ચુંદડી ચોખા ફિલ્મના સંવાદ એમણે લખ્યા હતા. અને છુટાછેડા ફિલ્મના લેખન અને નિર્દેશન માટે એમને એવોર્ડ પણ મળ્યા છે.

ઊંચું કદ, ખરજનો અવાજ, મોટી આંખો અને એમાં નમણાંશ. એ ખલીલ ધતેજવીની નિરખી શકાય એવી ઓળખ. ઊંચાઇ તો એવી કે એક વાર અમિતાભ બચ્ચને એમને ઊંચકી લીધા હોવાની પણ ઘટના બની હતી. 12મી ડિસેમ્બર 1939ના રોજ જન્મેલા ખલીલ ધનતેજવીએ શિક્ષણ તો ચાર ધોરણ સુધીનું લીધું છે પરંતુ સાહિત્ય સર્જન અને શિક્ષણને સીધો કોઇ સંબંધ નથી એનો જીવંત પુરાવો એ ખલીલભાઇ છે. સાહિત્ય ક્ષેત્રે એમણે પગરણ માંડ્યાં વાર્તા સર્જનથી. નવલકથાઓ પણ લખી. મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, એક મુઠ્ઠી હવા, સાંજ પડેને સુનું લાગે, લોહી ભીની રાત, નગરવધૂ, કોરી કોરી ભીનાશ સહિતની નવલકથાઓ ખલીલભાઇએ ગુજરાતી સાહિત્યને આપી છે. વર્તમાનપત્રોમાં કટારલેખન પણ કર્યું,કરી રહ્યા છે.

ગુજરાતી વાચકો સુધી જો કે એમને ગઝલો જ લઇ ગઇ એમ કહેવું જરાય અયોગ્ય નથી. એક તો બુલંદ અવાજ, ગઝલની રવાની, બોલચાલની ભાષાનો પણ ગઝલમાં ઉપયોગ. કવિતાના નિષ્ણાતો કહે છે એમ કવિતા એ કાનની કળા છે. તો ખલીલ ધનતેજવીની કવિતાના શબ્દો સીધા કાનને અથડાઇ મન પર ટકોરા દે એવી ઘટના ઘણા મુશાયરામાં સતત બનતી રહે છે. સામાન્ય શ્રોતા,ભાવક સાથે એમની ગઝલ સીધો સંવાદ સાધે છે. જેમને ગઝલના મીટર,છંદ, બંધારણ વગેરે ખબર નથી એમને પણ આ ગઝલો ગમે છે. સાદગી અને સારાંશ એમના ગુજરાતી ગઝલ સંગ્રહ છે. જ્યારે શાયદ સંચયમાં હિન્દી-ઉર્દૂ ગઝલો એમણે આપી છે.

તમે મન મુકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે

અમને રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે

એ એમની લોકપ્રિય થયેલો શેર છે અને એ જ ગઝલનો અન્ય એક શેર તો ખલીલભાઇ બોલે પછી મિનિટો સુધી શ્રોતાઓ તાળી પાડતા હોય છે. અરે,વન્સમોર પણ થાય છે. એ શેર છે,

તમાચો ખાઇ લઇશ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે

આવી હળવી શૈલીમાં માર્મિક વાત કહેનારા ખલીલભાઇની ગઝલો માટે ગઝલના નિષ્ણાતો,અભ્યાસુઓ વિવિધ સાહિત્યિક સામયીકમાં ઘણીવાર ચર્ચા કરે છે અને શાસ્ત્રોક્ત રીતે એમની ગઝલને પ્રમાણે છે. કેટલીક  રચના ગઝલના શાસ્ત્ર અનુસાર સાંગોપાંગ પાર ઉતરતી ન હોવાના અવલોકનો પણ ઉદાહરણ સાથે સત્તર-સત્તર પાનાના લેખોમાં મળ્યાં છે. જો કે એક સામાન્ય વાચક,શ્રોતાને મીટર કે છંદ સાથે વધારે નિસબત હોતી નથી. સભારંજનના કવિ હોવાની એમની છાપ ઘેરી છે પરંતુ…

વાંસળી ઊંચકે બબ્બે હાથે,ટચલી આંગળીએ ગોવર્ધન…એવા અર્થસભર શેર પણ એમણે અનેક આપ્યા છે. કેટલાંક ઉદાહરણ….

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.

હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

આવા આ લોકપ્રિય, નિવડેલા કવિને ગુજરાતી ભાષાનો ગૌરવવંતો નરસિંહ મહેતા પુરસ્કાર આપવાનું નક્કી થયું છે. તલગાજરડામાં ચાલી રહેલા સંસ્કૃત પર્વના અંતિમ દિવસે આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી હતી. દર વર્ષે જુનાગઢમાં રુપાયતન ખાતે આ એવોર્ડની અર્પણવિધી હોય છે.

આ અગાઉ, કવિ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત,સુરેશ દલાલ, રમેશ પારેખ, ભગવતી કુમાર શર્મા, ભાનુપ્રસાદ પંડ્યા,અનિલ જોશી, રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, જલન માતરી અને ચીનુ મોદી સહિતના સર્જકોને આ એવોર્ડ એનાયત થઇ ચૂક્યો છે.

 (જ્વલંત છાયા, રાજકોટ)

તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ