અમદાવાદઃ શિક્ષકોને 1500 રુપિયાની ખાદી પહેરવા આદેશ

અમદાવાદઃ શિક્ષકોમાં સાદગી આવે અને ખાદીના કપડાનો વધારે ઉપયોગ કરે તે માટે અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના 3800 શિક્ષકોને ફરજિયાત રીતે ખાદીની ખરીદી કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ આવનારા સમયમાં મંગળવારના દિવસે તમામ શિક્ષકો ખાદી પહેરે તેના પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવશે.

ત્યારે ત્રણ દિવસ દરમિયાન શિક્ષકો 50 લાખની ખાદીની ખરીદી કરે તેવી શક્યતા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા તમામ શિક્ષકોને ખાદી ખરીદીની સાથે બીટ સુપરવાઇઝરને જણાવવામાં આવ્યું કે શિક્ષકો દ્વારા ખરીદી કરેલી ખાદીની માહિતી 6 ઓક્ટોબર સુધી મોકલવામાં આવે.

શીક્ષકોને આગામી ત્રણ દિવસ દરમિયાન ખાદીની ખરીદી કરવા માટે જણાવાયું છે. તો આ સાથે જ દરેક શિક્ષક 1000થી 1500 રૂપિયા સુધીની ખાદીની ખરીદી કરે તેવું જણાવ્યું હતું. અમારો ઉદ્દેશ્ય છે કે ઓછામાં ઓછા અઠવાડિયાના એક દિવસ શિક્ષક શાળામાં ખાદીના કપડા પહેરે. ખાદીની ખરીદીથી તેની બનાવટ કરતા કારીગરોને પણ મદદ મળશે.