કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યૂલેટ કચેરીનો ગુજરાતમાં પ્રારંભ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગણતાંત્રિક રાષ્ટ્ર કઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત જેવા લીડર સ્ટેટમાં આ કચેરી ભારત કઝાકસ્તાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઇ આપશે.

કઝાકસ્તાનના રાજદૂત બૂલાત સરસેનબાયેવ અને નવનિયુકત ઓનરરી કાઉન્સેલ દિલીપ ચંદનની ઉપસ્થિતિમાં મુખ્યપ્રધાને ગાંધીનગરના સેકટર-૮માં આ ઓનરરી કોન્સ્યુલેટ કચેરીનો પ્રારંભ કરાવ્યો હતો.આ સંદર્ભમાં મુખ્યપ્રધાને કહ્યું કે, ભારત-કઝાકસ્તાન વચ્ચે સાંસ્કૃતિક, આર્થિક, વાણિજ્યીક અને સ્ટ્રેટેજિક તેમજ શૈક્ષણિક જેવા અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને સમન્વય વધુ પ્રબળ બનશે.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, ભારત અને કઝાકસ્તાન બંન્ને દેશોએ યુરેનિયમ જેવા અતિ સંવેદનશીલ અને સ્ટ્રેટેજિક મિનરલની ઉપલબ્ધિ માટે જે એમ.ઓ.યુ. કર્યા છે તેનાથી વિશ્વાસ અને પ્રતિબધ્ધતાના નવા કિર્તિમાન સ્થાપિત થયા છે. ભારત-કઝાકસ્તાન વચ્ચે ર૦૧૬ સુધીમાં ૪પ જેટલા બાય લેટરલ કોલોબરેશન MoU થયા હતાં.

વિજય રૂપાણીએ આગામી વાયબ્રન્ટની નવમી શૃંખલા ર૦૧૯ના જાન્યુઆરીમાં યોજાય તે વેળાએ કઝાકસ્તાનને તેમાં ભાગ લેવા અને ઉચ્ચસ્તરીય ડેલિગેશન મોકલવા આમંત્રણ પાઠવ્યું હતું. અને ગુજરાતના ૪૦ જેટલા નાના-મોટા બંદરનો વ્યાપક લાભ લેવા પણ કઝાકસ્તાનને અનુરોધ કર્યો હતો.

કઝાકસ્તાનના રાજદૂત બૂલાતે આ ઓનરરી કોન્સ્યુલ કચેરી ગુજરાતમાં શરૂ થવાથી કઝાકસ્તાનના હોલીસ્ટીક ગ્રોથમાં નવું પરિમાણ ઉમેરાશે તેમ જણાવ્યું હતું. અને વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં કઝાકસ્તાનના ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથેનું ડેલિગેશન ભાગ લેશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.