કચ્છના બન્ની સીમાંકનનો પેચીદો મુદ્દો હાથ ધરાયો, 4 મહિનામાં દબાણોનો રીપોર્ટ આવશે

ગાંધીધામઃ બન્નીના રક્ષિત જંગલમાં થઈ રહેલા ખેતીના બેફામ દબાણોને દૂર કરવા બન્ની માલધારી સંગઠન દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ચાલી રહેલી લડતને વધુ એક સફળતા મળતાં, બન્નીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવાની અગત્યની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બન્નીમાં તાજેતરમાં થયેલા દબાણો દૂર કરી બન્નીનો કુલ કેટલા ક્ષેત્રફળ છે તે નિશ્ચિત કરવા બન્નીની ચારે તરફની હદો, સીમાઓ જમીન પર નકકી કરી તેનો વિગતવાર અહેવાલ ચાર મહિનાના સમયમાં રજુ કરવા ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા રાજ્ય સરકારને હુકમ કરવામાં આવ્યો હતો.

ગ્રીન ટ્રીબ્યુનલના આ આદેશથી ૬૫ વરસથી અનિશ્ચિત બન્નીની હદ સીમાઓ નિશ્ચિત થશે. બન્નીનો ચોકકસ કેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવે છે તે પણ નિશ્ચિત થશે. ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા બન્ની વિસ્તારમાં સીમાંકન નક્કી કરવા માપણીની શરૂઆત કરી છે અને માલધારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. માલધારીઓએ જણાવ્યું કે, બન્નીના રક્ષિત જંગલોની અને તેને સંલગ્ન વિસ્તારનાં સીમાંકનની માપણી દરમિયાન સ્થાનિક લોકો વહીવટીતંત્રની મદદ કરશે.

બન્ની માલધારી સંગઠન દ્વારા ટ્રીબ્યુનલમાં અરજી દાખલ થતા એક વરસથી ચાલી રહેલી સુનાવણીમાં 3જી જુલાઇના રોજ મહત્વપૂર્ણ મુદાઓ પર સુનાવણી થઈ હતી, લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણીમાં સંગઠન તરફથી અડવોકેટ સંજય ઉપાધ્યાય દ્વારા દલીલ રજૂ કરાઈ હતી કે, વર્ષ ૨૦૦૯ વન વિભાગ દ્વારા વર્કીગ પ્લાન મંજૂર કરાવી તેનો અમલ ચાલુ કરવા પ્રયાસો કરાયાં હતાં પરંતુ સ્થાનિક લોકોના અધિકારોની માન્યતા બન્નીની હદોની માપણી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના અનુસંધાને ટ્રીબ્યુનલ દ્વારા કેન્દ્ર સરકારના વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રાલયને સાથે રાખીને ગુજરાત સરકાર દ્રારા બન્નીની હદો નકકી કરવા આદેશ કરાયો છે. ટ્રીબ્યુનલે ગુજરાત સરકારના વન વિભાગને સવાલ કર્યો હતો કે જો બન્નીની હદ અને નિશાનો નકકી જ ન હોય તો તમે વર્કીગ પ્લાન બનાવ્યો શી રીતે ? આ બાબતે સરકારના વકીલ તરફથી કોઈ યોગ્ય જવાબ અપાયો ન હતો.


આ સાથે એડવોકેટ સંજય ઉપાધ્યાયે રજૂઆત કરી હતી કે રાજય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુકોડ ૧૮૭૯ હેઠળ જે મહેસૂલી સર્વે હાથ ધરાયો છે, તેનાથી સ્થાનિક માલધારીઓના સામુદાયિક વન અધિકારોનું હનન થઈ રહ્યું છે અને ગેરકાયદે દબાણોને છાવરવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે, જેના અનુસંધાને ટ્રીબ્યુનલ દ્રારા મૌખિક રીતે આવા તમામ સર્વેની કામગીરીને આવતી સુનાવણી સુધી મોકૂફ રાખવા જણાવેલ છે.

આ ઉપરાંત ગત ૧૧ જુલાઇ ૨૦૧૮ ના ટ્રીબ્યુનલ દ્રારા બન્નીમાં નોન ફોરેસ્ટ એકટીવીટી (ખેતી, દબાણો) ઉપર રોક લગાવેલી છે, તેને ધ્યાને લઇ ચાલુ વરસે કોઈ પણ પ્રકારની ખેતી કે દબાણો ન થાય તે બાબતે ટ્રીબ્યુનલનું ધ્યાન દોરતા ટ્રીબ્યુનલ દ્વારા આવી કોઈ પણ નોન ફોરેસ્ટ એકટીવી, બાંધકામો સામે આવેતો તાત્કાલિક દૂર કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.


ઉલ્લેખનીય છે, કે કચ્છ કમિશનરના આદેશથી ૧૯૫૫માં બન્નીને ઈન્ડીયન ફોરેસ્ટ એક્ટ ૧૯૨૭ ની કલમ ૨૯ હેઠળ રક્ષિત જંગલ જાહેર કરવામાં આવેલ હતી. જેમાં ઉત્તરે કચ્છનું રણ અને ખાવડા મહાલ, દક્ષિણે ભચાઉ, અંજાર, ભુજ, નખત્રાણા અને લખપત તાલુકાની મહેસુલી હદ, પૂર્વે ભચાઉ અને ખડીરની મહાલ અને પશ્ચિમે કચ્છના મોટા રણ અને કોરી ફ્રીક તરફનો ભાગ એવી ચતુદર્શાઓ નિર્દિષ્ટિ કરવામાં આવી હતી પરંતુ જમીન ઉપર કોઇ જ હદ નીશાન, ખુંટા કે પીલર લગાવવામાં આવેલ ન હતા. ટ્રીબ્યુનલના આ આદેશથી ૬૫ વરસથી પડતર આ કામ આવતા ચાર મહિનામાં પુરૂ કરવા સરકારને આદેશ થયેલ છે.


ટ્રીબ્યુનલ દ્વારા આપવામાં આવેલ આ મહત્વપૂર્ણ ચુકાદાથી બન્ની માલધારી સંગઠન અને તેની સાથે જોડાયેલા ૪૭ ગામની વન અધિકાર સમિતિઓમાં આનંદ વ્યાપિ ગયો છે. ટ્રીબ્યુનલના આ આદેશથી રાજય સરકાર દ્રારા હાથ ધરાવામાં આવનાર હદ, નિશાન અને સીમાઓની આકારણી કરવાના કાર્યમાં બન્ની માલધારી સંગઠન અને ૪૭ ગામની વન અધિકાર સમિતિઓ અને ગ્રામ પંચાયતો પુરો સાથ સહકાર આપશે. ઉપરાંત આવી કાર્યવાહીમાં બન્ની વિસ્તારની ચારેબાજુનો કોઇ ભાગ કે વિસ્તાર છૂટી ના જાય તેમ જ સંવાદિતતા જળવાઈ રહે તે માટે માલધારી સંગઠન અને સ્થાનિક પંચાયતોને સાથે રાખવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે તેવુ સંગઠનના પ્રમુખ મીરાશા ઘોધા મુતવા તથા ઉપ પ્રમુખ મુસાભાઈ રાયશીપોત્રાએ જણાવ્યું હતું.