સીએમ રુપાણી સામે હારેલાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપી દીધું રાજીનામું

રાજકોટ– ગુજરાત કોંગ્રેસનો કકળાટ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ખુલીને સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળીયાની નારાજગી હજુ હવામાં છે ત્યાં રાજકોટ કોંગ્રેસના મોટા માથાં ગણાતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ અને જવાબદારીઓ પરથી રાજીનામું ધરી દીધું છે. સાથે જ તેમણે પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું કે ‘હું કોંગ્રેસમાં સેવા કરવાની ઇચ્છા ધરાવતો હતો.પ્રદેશકક્ષાએ જે રીતરસમો ચાલતી આવે થે તેની સામે મને હંમેશા નારાજગી રહી છે. પણ આવી વાતોથી થાક પણ લાગતો હોય છે….’

પોતે રાજીનામું આપતાં પહેલાં રાહુલ ગાંધી સિવાય તમામ સ્તરે પોતાની નારાજગી જાહેર કરી હોવાનું જણાવવા સાથે તેમણે કહ્યું કે પોતે ભાજપમાં ક્યારેય નહીં જોડાય.

ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર કોંગ્રેસના ખમતીધર વરિષ્ઠ નેતા ગણવામાં આવે છે અને તેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી સામે ચૂંટણીજંગ લડ્યાં હતાં. જોકે તેમની મોટા માર્જિનથી હાર થઇ હતી.