અમદાવાદ- દિલ્હી પોલિસે ગુજરાતમાં સીરીયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ આરોપી અબ્દુલ સુભાન કુરૈશીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ધરપકડથી બચવા કુરૈશીએ પોલિસ પર ફાયરિંગ પણ કર્યું હતું. આરોપી કુરૈશી 2008માં ગુજરાતમાં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં આરોપી છે. તેને ભારતનો લાદેન પણ આંતકી ગ્રુપો માને છે.26 જુલાઇ 2008માં અમદાવાદમાં 19 સીરીયલ બ્લાસ્ટ થયાં હતાં અને 56 લોકોના મોત થયાં હતાં અને 238 લોકો ઘાયલ થયાં હતાં. ઇન્ડિયન મુજાહિદ્દીને આ ધડાકાઓની જવાબદારી લીધી હતી. આ કેસમાં 78 આરોપીઓ છે અને 35 એફઆરઆઈ દાખલ થયેલી છે. અબ્દુલ સુભાન કુરૈશી આ હુમલાનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. એનઆઈએ દ્વારા તેના માથાં પર 4 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેને 14 દિવસના રીમાન્ડ પર મોકલી આફવામાં આવ્યો છે.
ગુપ્તચર વિભાગે આતંકી હુમલાનું એલર્ટ આપેલું છે તે સંદર્ભે દિલ્હી પોલિસ સતત છાપામારી કરી રહી છે. આ દરમિયાન બાતમી મળી હતી કે ગુજરાત સીરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સુભાન કુરૈશી દિલ્હીમાં છે અને ગણતંત્ર દિવસની ઉજવણીને લોહિયાળ બનાવવાના ષડયંત્રને અંજામ આપવાની કોશિશ કરી રહ્યો છે.
અબ્દુલ સુભાન કુરૈશીના અનેક ઉપનામો છે જેમાં, તૌકીર-કૈબ-ઝાકીર-કાસીમ તરીકે પણ નામ બદલ્યાં છે. કુરૈશી વ્યવસાયે એન્જીનિયર છે અને બોમ્બ બનાવવામાં માસ્ટરી હાંસલ કરી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા 11 જુલાઈ 2006માં મુંબઇમાં થયેલાં ટ્રેન બોમ્બ બ્લાસ્ટમાં પણ તેની તલાશ હતી. તે સિવાય દિલ્હી, બેંગ્લૂરુ અને અમદાવાદમાં થયેલા બ્લાસ્ટમાં તેનો હાથ છે. ઇન્ડિયન મુજાહિદ્દીનનું ઓનલાઇન કામ પણ તે જ કરે છે. તે અનેક દેશોમાં છુપાતો ફરતો રહ્યો હતો.
21 ઓગસ્ટ 2001માં નાગૌરી સાથે મુંબઇમાં સિમીની એક પ્રેસકોન્ફરન્સમાં તે દેખાયો હતો. એનઆઈએના મોસ્ટ વોન્ટેડ અપરાધીના લિસ્ટમાં તેનું નામ છે. મૂળ ઉત્તરપ્રદેશ રામપુરનું વતની કુરૈશી કુટુંબ મુંબઇમાં વસે છે. અબ્દુલ સુભાન કુરૈશી 1999 અને 2000ના વર્ષમાં આતંકી ગતિવિધિઓમાં શામેલ થયો હતો હવે આટલાં વર્ષો બાદ ઝડપાયો છે.
ગણતંત્ર દિવસે દિલ્હીમાં આતંકી હુમલાના ષડયંત્રની માહિતી મળવતાં સુરક્ષા એન્જસીઓને ખબર મળી હતી કે ત્રણ આતંકીઓ જામા મસ્જિદ વિસ્તારમાં છુપાયાં છે. એક કોલને ઇન્ટરસેપ્ટ કરાતાં આ બાતમી મળી હતી. બાતમી મળી હતી કે ત્રણે આતંકીઓ અફઘાની મૂળના છે અને સુશ્તો ભાષામાં વાતચીત કરે છે. તેમ જ ત્રણે આતંકીનું કશ્મીરના પુલવામામાં કનેક્શન મળી રહ્યું હતું.