દિવ્યાંગોની નોકરીમાં ભરતી માટે કાયદામાં થયો સુધારો

ગાંધીનગર- સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગોની સેવા કરવાનો લાભલ્હાવો ભાગ્યેજ કોઇ વ્યક્તિને મળે છે ત્યારે આપણને દિવ્યાંગોની સેવા કરવાની તક મળી છે ત્યારે ખભે ખભા મિલાવી કામ કરીને દિવ્યાંગોને મદદરૂપ થઇએ. સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન ઇશ્વરભાઇ પરમારે રાજ્ય સલાહકાર બોર્ડની બેઠકને સંબોધતાં આમ જણાવ્યું હતું.ડિસેબીલીટી એક્ટનો કાયદો વર્ષ ૨૦૧૬થી સંસદમાં પસાર કરાયો હતો, તેનું અમલીકરણ વર્ષ ૨૦૧૭થી શરૂ થઇ ગયુ છે ત્યારે દિવ્યાંગોને નોકરીઓમાં ૪ ટકાના ધોરણે અગ્રીમતા આપવામાં આવશે સાથે આ સુધારેલા કાયદામાં ૭ ના બદલે ૨૧ પ્રકારની દિવ્યાંગતા કેટેગરી ઉમેરાઇ છે તેના પ્રત્યે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સરકારની વિવિધ વિભાગોમાં ભરતી માટે કાયદાની જોગવાઇ અનુસાર એક્શન પ્લાન બનાવીને પ્રક્રિયા હાથ ધરાશે. ઉપરાંત દિવ્યાંગો માટે અલાયદી યુનિવર્સિટીની રચના કરવા માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવશે. પરમારે અધિકારી-કર્મચારીઓને દિવ્યાંગો માટેની યોજનાના લાભો સત્વરે મળે તે માટે પત્રવ્યવહાર અને ફાઇલોનું સતત મોનીટરીંગ કરવા સૂચનાઓ આપી હતી. સાથે સાથે દિવ્યાંગો માટેના સર્વેની કામગીરી ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવા માટે  અનુરોધ કર્યો હતો. રાજ્ય સલાહકાર બોર્ડની આ બેઠક વર્ષમાં ત્રણવાર મળશે જેથી કરીને દિવ્યાંગો માટેની કામગીરીની સવિસ્તૃત સમીક્ષા થઇ શકે.