રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 13 જળાશયો ઓવરફ્લો

ગાંધીનગર- સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૯/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં, છોટા ઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે સાડા તેર ઈંચ વરસાદ, ક્વાંટ તાલુકામાં ૨૮૨ મી.મી. એટલે કે ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૨૦૭ મી.મી. એટલે કે ૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ તરફથી મળતી લેટેસ્ટ અહેવાલ અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

 

મળતા અહેવાલ મુજબ રાજયના ૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં છોટા ઉદેપુર, ક્વાંટ, કુકરમુંડા ઉપરાંત જેતપુર-પાવીમાં ૧૭૪ મી.મી., નિઝરમાં ૧૭૩ મી.મી., નસવાડીમાં ૧૫૬ મી.મી., ધાનપુરમાં ૧૨૦ મી.મી., ગોધરામાં ૧૧૨ મી.મી., દાહોદમાં ૧૧૧ મી.મી., સંજેલીમાં ૧૧૦ મી.મી., દેવગઢ બારિયામાં ૧૦૪ મી.મી., લીમખેડા અને ઉમરપાડામાં ૧૦૩ મી.મી. તથા જાબુઘોડામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજયના ૧૦ તાલુકાઓમાં ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વિજયનગરમાં ૯૬ મી.મી., ડેડિયાપાડામાં ૯૫ મી.મી., ફતેપુરામાં ૮૯ મી.મી., સુબિરમાં ૮૬ મી.મી., સિંઘવાડમાં ૮૩ મી.મી., ડભોઈ, બોડેલી અને સાગબારામાં ૮૨ મી.મી., શહેરામાં ૮૦ મી.મી., કડાણામાં ૭૯ મી.મી. અને ગરબાડામાં ૭૮ મી.મી. એટલે કે ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉચ્છલ, માંગરોળ, હાલોલ, મોરવાહડફ, ગરૂડેશ્વર, સોનગઢ, સંખેડા, ઝાલોદ, નેત્રંગ, તિલકવાડા અને વડોદરા તાલુકાઓમાં 2થી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ૧૩૧ તાલુકાઓમાં ૨ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૬.૪૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૯.૭૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૩.૫૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૫૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૩.૨૬ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં જળાશયોની સ્થિતિ

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૬.૪૪ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૩ જળાશયો છલકાયા છે. ૧૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૫.૯૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૩.૨૬ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪,૧૧,૪૯૦, ઉકાઇમાં ૪,૨૯,૦૬૩, કરજણમાં ૬૯,૩૬૦, હડફમાં ૬૯,૦૦૦, કડાણામાં ૩૯,૪૪૩, સુખીમાં ૩૫,૦૪૦.૬, મચ્છનાલામાં ૨૩,૦૪૯.૩, દમણગંગામાં ૨૨,૩૩૨, પાનમમાં ૨૨,૧૬૦, કાલી-૨ ૧૧,૭૭૩, વેર-૨માં ૯,૨૫૮ ક્યુસેકનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૭૦ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૬૦.૩૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૮.૩૦ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૪૬ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૩૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૬.૫૮ ટકા એટલે ૨,૫૯,૩૪૩.૧૩ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.