મોદીએ જાહેર કરેલી સવર્ણ અનામત મુદ્દે હાર્દિકનો પ્રહાર….

અમદાવાદ- કેન્દ્રની મોદી સરકાર દ્વારા સર્વણ જ્ઞાતિના આર્થિક રીતે નબળા લોકોને દસ ટકા અનામત આપવાની જાહેરાત કરાઇ છે અને આ માટે બંધારણમાં સંશોધન કરવામાં આવશે. ત્યારે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે આ પહેલા આનંદીબેન પટેલે પણ દસ ટકા અનામત આપવાની માગણી કરી હતી. લોકસભા ચૂંટણી આવવાને માત્ર થોડા મહિના બાકી છે ત્યારે આ ચૂંટણીલક્ષી નિર્ણય હોય તેવુ લાગે છે. બંધારણીય રીતે જો દસ ટકા અનામત મળે અને રોજગારી તથા શિક્ષણમાં અનામત મળતી હોય તો અમે તેનો સ્વિકાર કરીએ છીએ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં સવર્ણ સમાજ ભાજપથી નારાજ હોઇ તેમને મનાવવાનો ઉપાય હોઇ શકે છે. પરંતુ આ અનામત આગામી ત્રણ મહિનામાં મળી જવી જોઈએ. સરકારની આ જાહેરાત લોલીપોપ સાબિત ન થવી જોઈએ.

સવર્ણોની અનામતની લડાઇને તોડવાનો પણ આ કારસો હોઇ શકે છે. કેન્દ્રની મોદી સરકારનો આ જુમલો સાબિત ન થાય તેવી અમારી આશા છે. એક તરફ રૂપાણી સરકાર ગુજરાતમાં અનામત આપવા માટે સવર્ણોનો સર્વે કરાવવાની વાત કરતી હતી ત્યારે કેન્દ્રની મોદી સરકારે કોઈ સર્વે કરાવ્યા વિના કેવી રીતે આ નિર્ણય લઇ લીધો? જો સરકારે અનામતનો નિર્ણય પહેલા લીધો હોત તો 14 પાટીદાર યુવાનોના મોત થયા ન હોત. પરંતુ એક વાત એ પણ છે કે વડાપ્રધાન મોદી પાસે રહેલુ અનામતનું તીર નિકળી ગયું છે. સરકાર હવે સંસદમાં કેવી રીતે આ અનામત મંજૂર કરાવે છે તે જોવુ રહ્યું.

એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે અમે સરકારના નિર્ણયને આવકારીએ છીએ પણ આ જાહેરાત ટકાઉ હોવી જોઈએ. માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત બની ન જાય તેનું સરકારે ધ્યાન રાખવું પડશે.