સરકાર ગમે તે કરે હું મારુ ઉપવાસ આંદોલન યથાવત રાખીશઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ પાસ કન્વિનર હાર્દિક પટેલ આજે બપોરે 3 વાગ્યે તેના ઘરેથી ઉપવાસ શરુ કરશે. મહત્વનું છે કે હાર્દિકે ઉપવાની જગ્યા માટે મંજૂરી માંગી હતી પરંતુ ઉપવાસ કરવાના સ્થળની કોઈ મંજૂરી મળી નથી. મહત્વનું છે કે હાર્દિક પટેલ ગુજરાતના ખેડુતોનું સંપૂર્ણ દેવું માફ થાય અને પાટીદાર સમાજને અનામત મળે તે પ્રકારની મુખ્ય માંગણીઓ સાથે આજથી આમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યો છે.

હાર્દિક પટેલે પોતાના ઉપવાસ શરૂ થાય તે પહેલા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. હાર્દિકે જણાવ્યું કે સરકાર ગમે તે કરે હું મારુ ઉપવાસ આંદોલન યથાવત રાખીશ. સરકાર મારા વિરુદ્ધમાં કામ કરી રહી છે. હાર્દિક પટેલે પોલીસ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. હાર્દિકે આકરા શબ્દ પ્રહાર કરતા કરતા જણાવ્યું કે ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. આખા ગુજરાતમાંથી આવતા 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે ને જે લોકો અમદાવાદ આવવા ઈચ્છી રહ્યા છે તેમને પણ રોકવામાં આવી રહ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલે જણાવ્યું કે જે લોકો મને સાથ આપવા માંગે છે તેઓ પોત-પોતાના ગામડામાં ઉપવાસ કરે અને સાથે જ હાર્દિક પટેલે લોકોને શાંતી જાળવવા અને કાયદાનું પાલન કરવા પણ અપીલ કરી છે.