હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી એલઆરડી પેપર લીક મુદ્દે મેદાને, 6ઠ્ઠીએ ન્યાયયાત્રા..

અમદાવાદઃએલઆરડી પેપર લીકને મામલે રાજ્યભરમાં જે ખળભળાટ મચ્યો છે તેને લઇને રાજકીય વર્તુળોમાં પણ સરકારની નિષ્ફળતાના ઢોલ પીટવામાં કોઇ પાછું પડી રહ્યું નથી. યુવા નેતાઓ પાસ નેતા હાર્દિક પટેલ, કોંગ્રેસ એમએલએ અલ્પેશ ઠાકોર તેમ જ એમએલએ જિગ્નેશ મેવાણીએ આ મામલે મેદાનમાં ઝંપલાવતાં વિવિધ નિવેદનો આપ્યાં છે.

પાસ નેતા હાર્દિકની પ્રતિક્રિયા…

હાર્દિક પટેલે ફેસબૂક  લાઇવ દ્વારા પોતાના નિવેદન જાહેર કરતાં જણાવ્યું કે લોકરક્ષકની નોકરી માટે થયેલાં આટલા મોટા કૌભાંડ બાદ તેનો ગુસ્સો સાતમા આસમાને હતો અને આ આખી ઘટના પર યુવાનોને જાગૃત થવા તેમ જ આ મુદ્દાને ભૂલી ન જવા અપીલ કરી હતી.કોન્સ્ટેબલની પરીક્ષાની ભરતી માટે માત્ર 7000-8000 સીટ હતી. જે માટે 9 લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. આ માટે સરકારે એક વ્યક્તિ પાસેથી સરેરાશ 500- 700 રૂપિયાની ફોર્મ ભરી એટલે કે કૂલ 80 કરોડ
રૂપિયા સરકારે બેરોજગાર યુવાનો પાસેથી લીધા. હવે આ રૂપિયાનું કૌભાંડની તપાસનાં આદેશ સરકારે આપ્યા છે. પણ આ આદેશમાં કંઇ જ સામે આવવાનું નથી. ભલે મુખ્યપ્રધાને તપાસ આદેશ આપ્યા પણ તેનું કોઇ જ પરિણામ નહીં આવે. મને લાગે છે કે, આ લાખો વિદ્યાર્થી સાથેની છેતરપિંડી નથી, આ 80 કરોડ રૂપિયા ચૂંટણીનાં ફંડનાં આયોજનનાં ભાગ રૂપે ભેગા કરવામાં આવ્યા છે. કેમ અમદાવાદના યુવાનને વડોદરા, વડોદરાનાં યુવાનને રાજકોટ રાજકોટનાં યુવાનને સૂરત પરીક્ષા માટે મોકલવામાં આવે છે.

જિગ્નેશ મેવાણી ખાવા દેતો નથી એ તો…

તો આ અંગે દલિત નેતા અને એમએમએ જિગ્નેશ મેવાણીએ પણ સરકાર પર જોરદાર વાક્ પ્રહાર કર્યાં છે.
મેવાણીએ આ અંગે જણાવ્યું કે, ‘નવ લાખ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતું અને રમત કરતું આ પેપર લીક કૌભાંડ બીજેપીની સરકાર માટે ઘણી શરમની વાત છે. તાલુકા કક્ષાનાં ડેલિગેટ અને પીએસઆઈ કક્ષાના માણસો સામે કાર્યવાહી કરી પરંતુ મોટી માછલીઓને રુપાણી સાહેબ કેમ બચાવી રહ્યાં છે તે પાયાનો સવાલ પૂછવા માગુ છું. આ એક મોટું કૌભાંડ છે અને આ પહેલાં પણ ઘણાં મોટામોટા કૌભાંડ થયા તેમાં ભાજપ સરકારે કોઇની સામે નક્કર કાર્યવાહી કરી નથી. રફાલમાં નરેન્દ્રભાઇનું નામ આવે અને આમાં આ તાલુકા લેવલના નાના નેતાઓનું નામ આવે. છતાં તમે પેલું કહો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે તો દંભ છે.’

અલ્પેશ ઠાકોરે કરી ન્યાય યાત્રાની જાહેરાતકોંગ્રેસ એમએલએ અલ્પેશ ઠાકોરે પોતાનું વિરોધ નિવેદન આપવા સાથે વિરોધ કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો છે. એલઆરડી પેપર લીકના મુદ્દાને આગળ કરીને અલ્પેશ ન્યાય યાત્રા કાઢશે. ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને આવી અક્ષમ્ય ગેરરીતિ બદલ સરકાર માફી માગે તેવી માગણી સાથે અલ્પેશે 6 ડીસેમ્બરે ન્યાય યાત્રાનું એલાન કર્યું છે. આ ન્યાય યાત્રા અમદાવાદના ગાંધીઆશ્રમથી ગાંધીનગર કૂચ કરશે. સાથે અલ્પેશે યુવાનોને મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાવા અપીલ પણ કરી હતી.