ગુજરાત નાણાં ધીરધાર સુધારા વિધેયક સર્વાનુમતે પસાર

ગાંધીનગર- ગુજરાત વિધાનસભામાં ગુજરાત નાણા ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧માં વધુ સુધારણા બાબત વિધેયક રજૂ કરતા રાજ્યકક્ષાના સહકારપ્રધાન ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ અધિનિયમની કેટલીક જોગવાઇઓ યોગ્ય રીતે સુધારવી જરૂરી છે, જેથી નાણાની ધીરધાર કરનારા દ્વારા આદિજાતિ સમાજને ભોગવવી પડતી હાડમારી દૂર કરી શકાય.કોઇપણ નાણાંની ધીરધાર કરનારે ભારતના સંવિધાનમાં જણાવાયા પ્રમાણે રાજ્યના અનુસૂચિત વિસ્તારમાં રહેતાં આદિજાતિના સભ્યને તે ગામની ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લીધા સિવાય કોઇ નાણાં ધીરવા જોઇએ નહીં. જો કે, પંચાયતની જોગવાઇ બાબત અધિનિયમ હેઠળ, આવી સત્તા યોગ્ય સ્તરે પંચાયતોને સોંપવામાં આવી છે, તેવી જ સત્તા ગ્રામસભાને પણ સોંપવામાં આવી છે.

આ અધિનિયમમાં સુધારો કરીને અનુસૂચિત આદિજાતિના સભ્યને નાણાંની ધીરધાર કરવા માટે તેની મંજૂરી આપવા ગ્રામસભાને સત્તા આપવાની જોગવાઇ કરાઇ છે. જેથી આદિજાતિના સભ્યને હવે ગ્રામ પંચાયત નહીં, ગ્રામસભા નાણાની ધીરધાર માટે મંજૂરી આપશે. અગાઉના વટહુકમને સ્થાને આ અધિનિયમ લાગુ થશે. રાજ્ય વિધાનસભામાં આ સુધારા વિધયક સર્વાનુમતે પસાર થયું હતું.