દેશના શહીદ જવાનોના પરિવારોને સહાયરૂપ થવા ગુજરાતની પહેલ

ગાંધીનગર– જમ્મુ-કશ્મીરના પુલવામા ખાતે CRPF ના જવાનો ઉપર કટ્ટરવાદી સંગઠનોના આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો અને ૪૪ જેટલા ભારતના સપુતો શહીદ થયાં છે. આ શહીદ જવાનોના પરિવારજનોને સહાયરૂપ થવા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના જય સોમનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક બાબુભાઇ કે. પટેલ અને રમણભાઇ કે. પટેલના પરિવાર દ્વારા શહીદ દીઠ રૂપિયા એક લાખની સહાય કરવાનો નિર્ણય કર્યો છે. 44 શહીદના પરિવારજનોને રૂપિયા 44 લાખની સહાય સત્વરે તેમને પહોંચાડવામાં આવશે.

ગાંધીનગરમાં બાબુભાઇ પટેલ દ્વારા કરેલ જાહેરાત સંદર્ભે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે રાજ્ય સરકાર વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતાં અને ઉમેર્યુ કે, દેશભરમાંથી શહીદો માટે સહાયની સરવાણી થઇ રહી છે ત્યારે બાબુભાઇ પટેલે ગઇ કાલે મારો સંપર્ક કરીને શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માર્ગદર્શન માંગ્યુ હતું અને મેં તેમના ઉત્સાહને વધાવી પ્રેરણા આપીને માર્ગદર્શન આપ્યું હતું, જેથી પ્રેરાઇને તેઓએ સહાય કરવાનો નિર્ણય કર્યો હતો અને આજે જાહેરાત કરી છે તે સત્વરે શહીદોના પરિવારજનોને પહોંચતી કરાશે.

બાબુભાઇ પટેલના પરિવાર દ્વારા શહીદોની શહાદત માટે શ્રધ્ધાંજલિ આપવા જે પ્રયાસ કરાયો છે. તે ગુજરાત માટે ગૌરવ છે અને અન્ય લોકો તથા સેવાભાવી સંસ્થાઓ પણ આ માટે પ્રેરાશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આપને જણાવીએ કે ગુજરાતીઓની દાનભાવનાનો પ્રવાહ શહીદોના પરિવારજનોને મદદનો હાથ લંબાવવામાં વહી રહ્યો છે તેવી જ રીતે સમગ્ર દેશમાંથી નામાંકિતો, કંપનીઓ, સંસ્થાઓ, વ્યક્તિગત પણે અનેકાનેક દાનની જાહેરાતો પણ સામે આવી રહી છે.