ગુજરાતના કુલ 203 જળાશયમાં પાણીનો જથ્થો 36.81 ટકા, નર્મદા ડેમમાં 40.07 ટકા

ગાંધીનગર– ગુજરાતના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૦૧/૦૮/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વરસાદના કારણે રાજ્યના ૧૯ જળાશયો હાઇએલર્ટ, ૧૦ જળાશયો એલર્ટ તેમ જ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને આંબાજલ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૧૯ જળાશયો હાઇ એલર્ટ અને ૧૦ જળાશય એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમ માટે ચેતવણી આપવામાં આવી છે.

ઉતર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૪.૬૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૧.૫૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૯.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૫.૩૦ એમ રાજયમાં કુલ-૨૦૩ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૬.૮૧ ટકા એટલે ૨,૦૪,૮૭૨ મીટર ઘન ફૂટ છે.

રાજયના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૮૧ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૮૫૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૪૦.૦૭ ટકા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સરદાર સરોવર ડેમમાં દૈનિક પાણીની આવક ૪૨૭૩ ક્યુસેક, ઉકાઈ ૭૦૭૪ ક્યુસેક, વણાકબોરી ૬૫૦૦ ક્યુસેક, દમણગંગામાં ૪૩૭૯ ક્યુસેક, કડાણા ૨૧૯૨ કયુસેક, કરજણ ૧૫૦૮ કયુસેક અને ઓઝત-વિઅર (વંથલી) ૧૦૦૮ કયુસેક એમ કુલ-૭ જળાશયોમાં દૈનિક ૧૦૦૦થી વધુ કયુસેક પાણીની આવક થઈ રહી છે.