નયા ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેઃ મુખ્યપ્રધાનનું ગુજરાતની જનતાને આહવાન…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ૭૩માં આઝાદી પર્વે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને આહવાન કર્યુ છે કે નયા ભારતના વડાપ્રધાનના સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. આ માટે તેમણે ગુજરાતીઓના શક્તિ સામર્થ્યથી શાનદાર જાનદાર ગુજરાત બનાવવાનો કોલ આપ્યો છે.

મુખ્યપ્રધાને ‘એક ઔર સૂર્ય ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈ’નો મંત્ર આપતાં સૌને દેશ માટે જીવી જાણવા, કણ-કણ ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કરવા પ્રેરણા આપી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, વ્હાલા ગુજરાતના મારા ભાઇઓ અને બહેનો. આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશ ૭૩મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉજવી રહ્યો છે. એ સ્વાતંત્રતા આઝાદીના મૂળીયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ અનેક નામી-અનામી એવા સૌ કોઇને આજના દિવસે પૂણ્ય સ્મરણ કરીને આપણે એમને વંદન કરીએ છીએ.

વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષ બ્રિટીશરોની લાઠીઓ ખાઇ ખાઇને, ગોળીઓ ઝીલી ઝીલીને અનેક વિરલાઓએ ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ સુખદેવ, રાજગુરૂ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક આવા અનેક લોકોએ દેશનું નેતૃત્વ કરીને સુભાષચંદ્ર બોઝ જેવા લોકોએ આઝાદ હિંદ ફોજ ઉભી કરીને બ્રિટીશરો સામે લડતા લડતા આપણને મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી ફીટનારા, જાન કુરબાન કરનારા, સૌ કોઇને આ નમન કરવાનો અવસર છે. સાત દાયકાઓથી આઝાદીની આબોહવામાં આપણે જીવી રહ્યા છીએ.

આપણને સ્વરાજ્ય મળ્યું ૧૯૪૭માં પરંતુ ભારતના નકશાનો નવા રાષ્ટ્ર તરીકે ઉદય થયો અને ગુજરાતની ધરતીના બે મહાન પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ લડતનું નેતૃત્વ કરીને આઝાદી અપાવી. દેશના પ્રથમ ગૃહ પ્રધાન એવા સરદાર સાહેબે દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરીને નવાબને ભગાડીને, નિઝામને દબાવીને એક રાષ્ટ્ર બનાવવાને ભગીરથ પુરૂષાર્થ પાર પાડયો છે.

પરંતુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું કમનસીબે સ્ટેટસ બન્યું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ પોતાના જીવની બાજી લગાડીને શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઇ લડયા. નહીં ચલેગા… નહીં ચલેગા… એક રાષ્ટ્ર મેં દો નિશાન… દો વિધાન… દો પ્રધાન. કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ બનાવવા શ્યામાપ્રસાદ મુખરજીએ પોતાનું બલિદાન આપ્યું.

કાશ્મીરી ઘાટીમાં વર્ષો સુધી સાત સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા. કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું. ભારતનું સ્વર્ગ કાશ્મીર એ નર્ક બન્યું એટલે જ એમ કહીએ છીએ કે દેશને સ્વરાજ્ય મળ્યું પરંતુ કાશ્મીરની સમસ્યાઓમાં એ સપનું અધુરૂં દેખાયું.

સ્વરાજનું સપનું ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં બે સપૂત ગુજરાતના ગાંધીજી અને સરદાર સાહેબે સાકાર કર્યું. એ જ રીતે ગુજરાતના બે નરબંકાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઈ શાહે ૭ર વર્ષ પછી પમી ઓગસ્ટ, ર૦૧૯એ પૂર્ણ સ્વરાજ માટે કાશ્મીરમાં આપણે એમ કહીએ કે કાશ્મીરનો મુગટ મણી ભારત માતાના લલાટ ઉપર એને પૂર્ણકાલીન રૂપે શોભાવ્યો. ૩૭૦ની કલમ હટાવી ૩૫એ કલમ દૂર કરી અને સવાસો કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આ આઝાદી પર્વ એક ઐતહાસિક પર્વ બની રહ્યું.

ભાઇઓ-બહેનો ગુજરાતમાં પણ આપણી સરકારે ગાંધી, સરદાર, નરેન્દ્રભાઈ, અમિતભાઈના પદચિન્હો પર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ-ગવર્નન્સ કેડીને પ્રસ્થાપિત કરી છે.

આઝાદી પહેલા ‘‘ડાઇ ફોર ધ નેશન’’ અને હવે લીવ ફોર ધ નેશન. દેશમાં પોલીટીકલ ડેવલપમેન્ટનો નવો યુગ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. માત્ર સરકાર ચલાવવી નહીં, સત્તામાં ટકી રહેવું એવા સિમીત ઉદ્દેશ્યથી નહીં. પરંતુ સરકાર એ લોકો માટે, સારી રીતે લોકોના સપનાઓને સાકાર કરતી સરકાર આગળ વધારવી. સરકાર લોકો માટે, લોકો વડે, લોકો  થકી, લોકોના સપનાઓને સિદ્ધ કરે અને એટલે જ અમે લોકોએ ગુજરાતમાં પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર સ્તંથો ઉપર લોકકલ્યાણાનો ધ્યેય નક્કી કરીને આપણે આગળ વધી રહ્યા છીએ.

પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડું, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પોતીકી છે. પોતાનો અવાજ સાંભળનારું કોઇ છે. એવો ભરોસો લાગે અને એટલા માટે અમારો મંત્ર છે ‘‘ સૌનો સાથ સૌનો વિકાસ ’’ અને હવે ‘‘સૌનો વિશ્વાસ ’’ એક પળ પણ આરામ કર્યા વગર દિન-રાત પ્રજાકલ્યાણના કામોમાં આપણે સમર્પિત છીએ. ત્રણ વર્ષના સેવાના કાળમાં ૬૦૦થી વધુ નિણર્યો કરીને અનિર્ણાયકતાને ફગાવીને નિર્ણાયકતાના આધાર પર આપણે આગળ વધી રહ્યા છીએ.

મુખ્યપ્રધાને કહ્યું કે, ભાઇઓ-બહેનો, સંવેદનશીલ સરકાર તરીકે પ્રત્યેક જીવોની ચિંતા, બધાંયને અભયદાન અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક નિર્ણયો એવા છે કે જે નિર્ણયોમાં સંવેદનશીલતા અને સંવેદના લોકો, ગરીબો અને પીડિતો માટે આપણે વ્યકત કરી છે. અનેક પ્રસંગો એવા છે કે ગરીબો માટે સમર્પિત સરકાર બની છે પછી એ આરોગ્યની વાત હોય, ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આરોગ્યની સુરક્ષા આપવા માટે માં અમૃતમ અને માં વાત્સલ્યની યોજના ચલાવીને સૌને આરોગ્યની સુરક્ષા, કોઇની પાસે હાથ લાંબો કરવો ન પડે. સરકાર પાંચ-પાંચ લાખ રૂપિયા સુધી એમના ઓપરેશનનો અને દવાનો ખર્ચ કરીને આરોગ્યની સેવાઓ પૂરી પાડી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નયા ભારતનો જે સંકલ્પ કર્યો છે એમાં ગુજરાત લીડ લેશે અને આપણે આ ભારત માતા જગત જનની બને ગુજરાત એમાં આગળ હોય નયા ગુજરાતના સંકલ્પને પણ આપણે આ આઝાદીના પર્વમાં બનાવીએ. ‘‘એક ઔર સૂર્યા ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈ’’ અને આ રીતે આવનાર દિવસોમાં ભારત જે ક્રાંતિકારીઓએ આપણને આઝાદી અપાવી છે એમના લોહીની શહાદતના એક-એક બુંદ એની શહીદીને આપણે નમન કરીને એળે ન જાય. એમની જે કલ્પનાઓ અને સપનાઓ હતા એ મુજબનું ભારત શક્તિશાળી, સામર્થ્ય શાળી, સમૃદ્ધ ભારત એવું જ ગુજરાત એમાં ઉન્નત મસ્તકે, પ્રતિષ્ઠિત ગુજરાત, આગવું ગુજરાત, આપણું શાનદાર ગુજરાત બનાવવું છે અને આપણે સૌ હવે દેશના માટે જીવીને દેશના માટે કણ કણ-ક્ષણ ક્ષણ સમર્પિત કરીને આપણે સૌ આગળ વધીશું એ જ આજના દિવસની આપ સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ.