મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવી શકશે નહીં: હાઈકોર્ટ

અમદાવાદ-  મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો દ્વારા વસૂલાતા પાર્કિંગ ચાર્જ સામે હાઇકોર્ટની ખંડપીઠે મહત્વનો નિર્ણય આપ્યો છે. ચુકાદા મુજબ, મોલ અને મલ્ટિપ્લેક્સ હવેથી નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારના પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં. તેમજ પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટિપ્લેક્સની સંચાલકો સામે કોર્પોરેશન અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે.

મહત્વનું છે કે મોલ અને મલ્ટિપ્લેકસમાં અગાઉ આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હોવાની વાત સામે આવી હતી. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટિપ્પણી કરતા ગત નવેમ્બર મહિનામાં જણાવાયું છે કે મોલ અને મલ્ટિપ્લેક્સનાં સંચાલકોને પાર્કિંગ ચાર્જ વસૂલવાની કોઇ સત્તા નથી.

મોલ બંધ કરાવવા અંગે કોર્ટ કોઈ આદેશ કરે તે પહેલા સંચાલકો સમજી જાય. તો એ પહેલા હાઈકોર્ટે મોલ-મલ્ટિપ્લેક્સના સંચાલકોને વચગાળાની રાહત આપી હતી. કોર્ટે પ્રથમ કલાક ફ્રી બાદ ચાર્જ વસુલ કરવાની પરવાનગી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ-વ્હીલરના 20 રૂપિયા અને ફોર વ્હીલરના 30 રૂપિયા ચાર્જ વસુલ કરી શકાશે.

હાઈકોર્ટના આ ચુકાદા બાદ મોક-મલ્ટિપ્લેક્સોના સંચાલકોએ કોર્ટમાં અપીલ કરી હતી. તેમણે સિંગલ જજના હુકમને ડિવિઝન બેન્ચ સામે પડકાર્યો હતો. તેમણે રજૂઆત કરી કે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવાના કોર્ટના આદેશ પહેલા તેમને સાંભળવામાં આવ્યા નથી. આ હુકમ રદ્દ કરવામાં આવે.