સરકારનું લેશન લેતી હાઈકોર્ટ, સફાઈ કામદારોના મોત અટકાવવા શું કર્યું? રીપોર્ટ…

અમદાવાદ– ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ગુજરાત સરકારનું બરાબર લેશન લેતાં કહ્યું છે કે ગટર સાફ કરતી વખતના મૃત્યુ અટકાવવા શું પગલાં લીધાં છે, તેનો રીપોર્ટ રાજ્ય સરકાર આપે. ગટર કે ટાંકા સાફ કરતી વખતે કર્મચારીઓના મોત ન નીપજે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 6 વર્ષ પહેલા કેટલાક આદેશ જાહેર કર્યા હતા, પણ તેનું અમલીકરણ થતું નથી, જેને પગલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. અને હવે આ મામલાની વધુ સુનાવણી 25 જૂને થશે.

તાજેતરમાં જ ડભોઈ પાસે દર્શન હોટલ નજીક ગટર સાફ કરવા ઉતરેલા સાત લોકોના મોત નિપજ્યાં હતાં. જેને પગલે ગુજરાત હાઈકોર્ટમાં રીટ દાખલ થઈ છે. હાઈકોર્ટે હૂકમ કર્યો છે કે રાજ્ય સરકાર ગટર કે ટાંકા સાફ કરવામાં ઉપયોગી થતાં ઉપકરણો વસાવ્યાં છે કે કેમ, કેટલા લોકોના મૃત્યું થયા અને તેમને શું વળતર ચુકવવામાં આવ્યું છે, તેની વિગતો રીપોર્ટરમાં રજૂ કરવા હૂકમ કર્યો છે.
અરજદારે ગટર કે ટાંકા સાફ કરવા ઉતરતાં લોકોના મોત ન થાય અને દુર્ઘટના ન સર્જાય તે માટે હાઈકોર્ટ પાસે જરૂરી નિર્દેશની માગ કરી છે. હાઈકોર્ટે આ મામલે 25 જૂન સુધીમાં રાજ્ય સરકારને રીપોર્ટ સબમીટ કરવા હૂકમ કર્યો છે.