ગુજરાત સરહદે થઈ ગઈ આ વ્યવસ્થાઓ, કોઇપણ સ્થિતિ માટે સજ્જ આરોગ્યવિભાગ

ગાંધીનગર- જમ્મુ-કશ્મીરના પુલવામા સીઆરપીએફ ના જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતીય એર ફોર્સ દ્વારા 26મીએ સર્જીકલ એર સ્ટ્રાઈક કરી ચૂક્યું છે.જેમાં અંદાજે સાડાત્રણસો આતંકીઓ ફૂંકાઈ મર્યાં છે. જોકે આંતકીઓનું સ્વર્ગ ગણાતું પાકિસ્તાન કોઇ વાર કરે તો તે માટે સર્જાય તે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાતની કચ્છ સરહદ પણ સુસજ્જ બની છે. પરિસ્થિતિ પર ઉચ્ચ સત્તાધીશ અને પ્રશાસનિકોની નજર છે.
એકતરફ સુરક્ષાત્મક પગલાં લેવાયાં છે તો બીજીતરફ સિવિલિયન સપોર્ટ સીસ્ટમ માટે પણ તૈયારી કરી લેવાઈ છે. યુદ્ધની પરિસ્થિતિ  સર્જાવાની વકીને લઈને ગુજરાત સરકારના તમામ તંત્ર હાઈ એલર્ટ મોડમાં છે. ત્યારે આરોગ્યવિભાગને પણ કેજ્યુઅલ્ટીની સ્થિતિમાં સક્ષમ રહે તે માટે રાજ્યના સરહદી વિસ્તારોમાં દવાનો પૂરો સ્ટ્રોક કરવાનું જણાવી દેવાયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દેશના યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેમાં ગુજરાતના કચ્છ અને તેની આસપાસના સરહદી વિસ્તરોમાં હવાઈ દળ અને બીએસએફ દ્વારા સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. પરુંત જો યુદ્ધ થાય તો પૂરતી દવાનો સ્ટોક હાજર રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની દવાનો સ્ટોક રાખવાની સૂચના આસપાસના સરકારી હોસ્પિટલ અને પ્રાથમિક સારવાર કેન્દ્રમાં કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે જ તકેદારીરુપે આરોગ્યવિભાગના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે અને ત્વરિત રીતે ફરજ પર હાજર રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદથી રાજ્યમાં હાઈ એલર્ટ આપીને તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મહત્વની સૂચના આપીને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.