દિલ્હીમાં નાણાંપ્રધાનો પાસે નાયબ સીએમે ગુજરાત માટે આટલું માગ્યું…

નવી દિલ્હીઃ આગામી બજેટને લઇને દિલ્હીમાં નાણાં ખાતાંમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામન અને અનુરાગ ઠાકુર સાથે રાજ્યોના નાણાંપ્રધાનોની બેઠક યોજાઈ ગઇ. જેમાં આપણાં નાયબ સીએમ નિતીન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.  નાણાં મંત્રાલયની બેઠકમાં સહભાગી થતાં નિતીન પટેલે ગુજરાત માટે કેન્દ્રીય બજેટને અનુલક્ષીને આટલી રજૂઆતો કરી હતી.વધુ ગ્રાન્ટ જોઇએ…
બેઠકમાં નિતીન પટેલે રાજ્યની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બને તે માટે ધારદાર રજૂઆતો સાથે સૂચનો કર્યા હતાં. તેમણે શ્રેષ્ઠ નાણાંકીય શિસ્ત ધરાવતા ગુજરાતને વધુ પ્રોત્સાહન આપવા વધુ ગ્રાન્ટ ફાળવવા પણ ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા ૨૦ વર્ષથી કોઇપણવાર રાજ્ય સરકારને ઓવરડ્રાફ્ટ કે ટૂંકી મુદ્દતની લોન પણ લેવી પડી નથી.

ગુજરાત પાણીની અછતવાળું રાજ્ય હોવા છતાં પાણીની મોટી પાઇપલાઇનોનું વિસ્તૃત માળખું ઉપલબ્ધ છે અને મોટા પમ્પીંગ સ્ટેશનો પણ કાર્યરત છે તેના સંચાલન-જાળવણી અને વીજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની ‘નલ સે જલ’ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ કારણકે ગુજરાત રાજ્ય અગાઉથી જ પોતાના બજેટમાંથી ૭૮% ઘરો સુધી શુદ્ધ પીવાના પાણીની સુવિધા પુરી પાડી રહ્યું છે.

માર્ગવિકાસની વાત…

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો લાભ ગુજરાતને મળે તે માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં જરૂરી જોગવાઇ કરીને અગાઉથી જ મોટાભાગના ગામોને પાકા ડામર રસ્તાથી જોડી દીધાં છે તેથી ભારત સરકાર આ રસ્તાઓને પહોળા કરવા, રીકારપેટ કરવા, નાળા-પુલો બનાવવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગુજરાતને વધુ ગ્રાન્ટ ફાળવવા અપીલ કરી હતી.

દારૂબંધીથી થતી ટેકસ નુકસાનીની ભરપાઈ

અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોય તેવા રાજ્યોની એક્સાઇઝની અને અન્ય ટેક્સની હજારો કરોડની મોટી આવક પ્રાપ્ત થાય છે. તે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ ૪૭ ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે ભરપાઇ કરવા પણ નાયબ મુખ્યપ્રધાને માંગણી કરી હતી.

ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ આપો

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ અપાતી ગ્રાન્ટોમાં ગ્રાન્ટ-ઇન-એઇડ હાઇસ્કૂલોને મદદ અપાતી નથી તેથી શિક્ષકોનો અને વહીવટી મહેકમનો ખર્ચ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે ઉપાડવો પડે છે તેથી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવા માગણી કરી હતી.

માનદ વેતન વધારવા

આશા વર્કર, આંગણવાડી વર્કર અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકાર દ્વારા અત્યારે જે માનદ વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત ભારત સરકાર તરફથી વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની જે રકમ અત્યારે અપાય છે તેમાં વધારો કરવા પણ માગણી કરી હતી.

પાક વિમા યોજના ફરજિયાત ન હોય…

ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના સરળ બનાવવી જોઇએ અને જે ખેડૂતો પાક વીમો લેવા માગતા હોય તેને જ લાભાર્થી બનાવવા જોઇએ. પાક વીમા યોજના ફરજfયાત ન હોવી જોઇએ એવી પણ માગણી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કરી હતી.