આવી ભેળસેળિયા ખાદ્યપદાર્થો પકડતી વાન, નાગરિકો પણ કરાવી શકશે ટેસ્ટિંગ

ગાંધીનગર- એક જ તેલમાં વારંવાર તળેલાં ભજીયાં વેચનારા કે દૂધમાં મિલાવટ કરી હોય કે કોઇપણ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે ટેકનોલોજીનું નવું શસ્ત્ર આજથી કામ કરવું શરુ કરી રહ્યું છે. નાયબ સીએમ નિતીન પટેલે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરી દીધું છે.રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન થકી નમુનાઓનું પરીક્ષણ કરાશે.

ગાંધીનગરમાં કેન્દ્રીય સહાયથી મળેલી મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરતાં નાયબ સીએમ જણાવ્યું કે નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળિયો ખાદ્યપદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફરશે. નાગરિકો સામેથી ટેસ્ટિંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી એક વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને પરિણામે કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી.નડ્ડા દ્વારા ગુજરાતને આ બીજી મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આ વાન રાજ્યભરમાં પરિભ્રમણ કરશે અને જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે.

વાનમાં થશે આ પરીક્ષણકાર્ય

અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સજ્જ આ વાનમાં સ્થળ પર જ નમૂનાનું પરીક્ષણ કરી શકાશે. મિલ્ક ટેસ્ટીંગ મશીન દ્વારા દૂધમાં ફેટ, એસ.એન.એફ., પ્રોટીન તથા એમોનીયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર મોલ્ટોડ્રેક્સ્ટ્રીન,યુરીયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.

ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તે તેલ ઝેરી બની જાય છે. આવા ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેલની ચકાસણી કરાશે. પાંચથી વધુ વાર તેલ વપરાયું હશે તો તે આ મશીનમાં પકડાશે.

પેકિંગમાં મળતાં પીવાના પાણીમાં ટી.ડી.એસ.ની માત્રા સહિત જ્યૂસ, શરબતમાં ખાંડની માત્રાનું પ્રમાણ સહિતની તમામ ચકાસણી સ્થળ ઉપર જ કરાશે. ખાંડની માત્રાનું પ્રમાણ કેટલું છે તે ગણતરીની પળોમાં જાણી શકાશે અને જો  ખાંડની માત્રાનું પ્રમાણ વધું હોય તો નમૂનો લઈ ચકાસણી કરાશે. અને નમૂનો ભેળસેળ યુક્ત ઠરે તો કાયદાકીય પગલાં લેવાશે.