અછતગ્રસ્ત વિસ્તારોમાં 10 જાન્યુઆરી સુધીમાં પહોંચી જશે સહાય

ગાંધીનગર:  ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના શુભારંભ પ્રસંગે હિંમતનગર, સાબરકાંઠા ખાતે મહેસૂલ પ્રધાન કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઓછા વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં સહાયરૂપ બનવા સરકારે અછતગ્રસસ્ત તાલુકાઓ જાહેર કરી ક્રોપ ઇનપુટ સબસીડી, પશુસહાય, વિજળી માટે કનેકશન, મનરેગા યોજના હેઠળ રોજગારી, ઘાસચારા વિતરણ જેવાં અનેકવિધ નિર્ણયો કર્યાં છે.

પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે રાજ્યના 11 જિલ્લાના 51 તાલુકાઓને અસરગ્રસ્ત તાલુકા જાહેર કરેલ છે. જ્યારે રાજ્યના 400 મી.મી.થી ઓછા વરસાદ ધરાવતા 16 જિલ્લાના 45 તાલુકાઓને પ્રથમવાર ખાસ કિસ્સામાં ખેડૂતોને પાકમાં થયેલ નુકશાન પેટે રાજ્ય ફંડમાંથી કૃષિ ઈનપુટ સહાય ચુકવવાનો ઐતિહાસિક નિર્ણય કરેલ છે. જેને કારણે અસરગ્રસ્ત તાલુકાઓમાં 22 લાખથી વધુ લોકોને અંદાજિત 32૦૦ કરોડ જેટલી રકમ વિવિધ સહાય યોજના હેઠળ લાભ મળશે.

મહેસૂલ પ્રધાને વધુમાં કહ્યું કે, 10 જાન્યુઆરી સુધીમાં અસરગ્રસ્ત 96 તાલુકાના ખેડૂતો અને પાંજરાપોળ / ગૌશાળાઓને સહાય ચુકવાય તે માટે રૂ.2000 કરોડથી વધુ ગ્રાંટ અસરગ્રસ્ત વિસ્તારોના જિલ્લા વહીવટી તંત્રને ફાળવવામાં આવી છે.